ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીની મંત્રી સ્તરની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર
Live TV
-
પેરિસમાં ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીની મંત્રી સ્તરની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત એક દાયકામાં 11માથી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ જ સમયગાળા દરમિયાન દેશની સૌર ઊર્જા ક્ષમતામાં 26 ગણો વધારો થયો છે. દેશની રિન્યુએબલ એનર્જી ક્ષમતા પણ બમણી થઈ છે. ભારત આ સંબંધમાં તેની પેરિસ પ્રતિબદ્ધતાઓને નિર્ધારિત સમય પહેલા પૂર્ણ કરે તેવી શક્યતા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં વિશ્વના કેટલાક સૌથી મોટા ઉર્જા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિશ્વના કુલ કાર્બન ઉત્સર્જનમાં ભારતનો ફાળો માત્ર ચાર ટકા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત હજુ પણ જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ અને મિશન લાઈફ જેવી પહેલો ચલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, G-20 ના ભારતના પ્રમુખપદ દરમિયાન આ દિશામાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં વૈશ્વિક બાયોફ્યુઅલ એલાયન્સ પણ સામેલ છે.
