ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તારાજી, બચાવ કાર્ય પૂરજોશમાં
Live TV
-
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તારાજી, બચાવ કાર્ય પૂરજોશમાં
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા હર્ષિલ ખીણના ધરાલી નગર ખાતે વાદળ ફાટવાની ઘટનાને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ખીર ગંગાના પાણીનો પ્રચંડ પ્રવાહ ગામમાં ફરી વળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.
આ ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય સેના, ITBP, NDRF અને SDRFની ટીમો દ્વારા 130 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત, દહેરાદૂન, હરિદ્વાર અને પૌડીમાંથી 160 પોલીસ કર્મચારીઓની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ છે.
આ કુદરતી આપદાને ધ્યાનમાં રાખીને, રાજ્ય આપદા નિધિમાંથી ઉત્તરકાશી માટે ₹20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આજે ધરાલીની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે.
ગત રોજ ખીરગંગા, સુખી ટૉપ અને અવના બુગ્યાલ વિસ્તારોમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં 9 સૈન્ય કર્મચારીઓ ગુમ થયા હોવાના અહેવાલ છે, જેના કારણે જાનહાનિનો ભય સેવાઈ રહ્યો છે. બચાવ ટીમો ગુમ થયેલા કર્મચારીઓની શોધખોળ ચાલુ રાખી છે. સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ મોકલવામાં આવ્યા છે.
