કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા, તમામ મુસાફરો સુરક્ષિત
Live TV
-
વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ (19168) શુક્રવારે સવારે 2.30 વાગ્યે કાનપુરના ગોવિંદપુરી પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી.
રેલવે, પોલીસ અને ફાયર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. નોર્થ સેન્ટ્રલ રેલ્વેના જણાવ્યા અનુસાર, બોલ્ડર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતને કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કાનપુરથી મધ્યપ્રદેશના બુંદેલખંડ જતી ટ્રેનો રદ કરવામાં આવી હતી. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા.
ઘટના બાદ DRM, ADRM, કોમર્શિયલ હેડ, ટેકનિકલ હેડ, મેડિકલ ટીમ સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓ આવી પહોંચ્યા છે. હાલ રાહત કાર્ય ચાલી રહ્યું છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ)નું એન્જિન આજે સવારે 02.35 વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર મૂકેલી વસ્તુ સાથે અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી. આઈબી અને યુપી પોલીસ પણ આ અંગે કામ કરી રહી છે. મુસાફરો કે સ્ટાફને કોઈ ઈજા થઈ ન હતી.
