ખેડૂતો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે તમિલનાડુમાં કોપરા અને તોતાપુરી કેરીની ખરીદીને આપી મંજૂરી
Live TV
-
ખેડૂતો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે તમિલનાડુમાં કોપરા અને તોતાપુરી કેરીની ખરીદીને આપી મંજૂરી
તમિલનાડુના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તમિલનાડુમાં કોપરા (સુકું નાળિયેર) અને તોતાપુરી કેરીની ખરીદી કરવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક ખેડૂતો અને ઉત્પાદકોને બજારના જોખમોથી મોટી રાહત મળશે.
બજારના ઉતાર-ચઢાવથી ખેડૂતોને મળશે
કૃષિ મંત્રાલયે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરતા જણાવ્યું છે કે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના પાકના વધુ સારા અને વ્યાજબી ભાવ અપાવવાનો છે. ઘણીવાર ઓપન માર્કેટમાં ભાવો તૂટવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડતું હોય છે. કેન્દ્ર સરકારની આ દખલગીરીથી ઉત્પાદકોને બજારની અસ્થિરતા અને વધઘટ સામે મજબૂત સુરક્ષા કવચ મળશે.
87,226 મેટ્રિક ટન કોપરાની 'MSP' પર ખરીદી
આ યોજના અંતર્ગત તમિલનાડુ રાજ્યમાં મોટા પાયે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ભાવ સહાય યોજના હેઠળ રાજ્યભરમાંથી 87,226 મેટ્રિક ટનથી વધુ કોપરાની ખરીદી કરવામાં આવશે. આ તમામ જથ્થો સરકાર દ્વારા નક્કી કરાયેલી લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર જ ખરીદવામાં આવશે, જેથી ખેડૂતોને નુકસાન જવાનો કોઈ ભય રહેશે નહીં.
તોતાપુરી કેરીના ઉત્પાદકોને પણ મોટી રાહત
તમિલનાડુમાં તોતાપુરી કેરીનું મબલક ઉત્પાદન થાય છે અને પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝમાં તેની ભારે માંગ રહે છે. કોપરાની સાથે-સાથે તોતાપુરી કેરીની ખરીદીને મંજૂરી મળતા બાગાયતી પાકો કરતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. આ નિર્ણયથી કેરીના ઉત્પાદકો વચેટિયાઓ અને વેપારીઓની મનમાનીથી બચી શકશે અને સીધો સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
ખેડૂત કલ્યાણ તરફ વધુ એક પગલું:
કૃષિ નિષ્ણાંતોના મતે, સમયસર લેવાયેલો આ નિર્ણય તમિલનાડુના ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે અને ખેડૂતોની આવક સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ખરીદી કેન્દ્રોની યાદી અને પ્રક્રિયાની વિગતો જાહેર કરવામાં આવશે.
