ગૃહ મંત્રી અમિત શાહે ખેડૂત રેલી દરમિયાન થયેલી હિંસા મામલે યોજી તત્કાલીન બેઠક
Live TV
-
રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડ પછી નીકળેલી ખેડૂત ટ્રેક્ટર રેલી હિંસક બનતાં દિલ્હીનો રોજિંદો જીવન વ્યવહાર ખોરવાયો હતો. રેલી માટે સાંજે પાંચ વાગ્યા સુધીની મંજૂરી હતી. દિલ્હીના મોટા ભાગના મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે સાંજે કેટલાક રૂટ પર સેવા ફરી બહાલ કરવામાં આવી હતી. ખાસ કરીને સિંઘુ બોર્ડર અને ગાઝીપુર બોર્ડરેથી જ ખેડૂત દેખાવકારો દ્વારા હિંસક વ્યવહાર શરૂ થયો હતો. પ્રજાસત્તાક દિવસ પરેડ પુરી થાય તે પછી ખેડૂત રેલી કાઢવાની મંજૂરી હતી. ખેડૂતોએ તે પહેલાં જ રેલી શરૂ કરીને રેલી જે શરતે મંજૂરી મળી હતી તેનું ઉલ્લંઘન કર્યું હતું. તે પછી ખેડૂતોએ જે રૂટ નક્કી થયો હતો તેમાં પણ તેમણે જાતે જ ફેરફાર કરી લીધો હતો. ખેડૂતોએ બેરીકેડ તોડી નાખ્યાં હતા. તેને કારણે પોલીસ અને દેખાવકારો વચ્ચે આઇટીઓ સહિતના સ્થાને હિંસક અથડામણ સર્જાઇ હતી. દેખાવકારોએ અહીં જાહેર સંપત્તિ અને પોલીસવાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું . આંદોલનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે વળતો લાઠીચાર્જ કરીને દેખાવકારોને વિખેરી નાખવા અશ્રુવાયુના સેલ છોડયા હતા. આઇટીઓ ખાતે દેખાવકારો સામે પોલીસે મોરચો સંભાળીને આર.એ.એફ. અને એસ.એસ.બી.ની વધારાની ટુકડીઓ તૈનાત કરી હતી. દિલ્હીના વિવિધ વિસ્તારમાં રાતે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા સ્થિગત કરવામાં આવી છે. બીજી તરફ ખેડૂતો મોટી સંખ્યામાં લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. સુરક્ષા કર્મીઓને લાલ કિલ્લા સુધી પહોંચીને દેખાવકારોને દૂર કરવાની ફરજ પડી હતી. કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલે ટ્વીટ કરીને આ ઘટના પ્રતિ દુઃખ જાહેર કરતાં જણાવ્યું હતું કે ઘટનાક્રમે લોકશાહીની ગરિમાને નુકસાન પહોંચ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી.
