જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી તારાજી, સ્કૂલ-કોલેજો આજે બંધ
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી સર્વત્ર તારાજી સર્જાઈ છે. સાવચેતીના ભાગરૂપે આજે ગુરુવારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. શિક્ષણ મંત્રી સકીના ઈટૂએ બુધવારે 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે જમ્મુ અને કાશ્મીરમાં શાળાઓ અને કોલેજો ગુરુવારે બંધ રહેશે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી સર્વત્ર તારાજી સર્જાઈ છે. સાવચેતીના ભાગરૂપે આજે ગુરુવારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. શિક્ષણ મંત્રી સકીના ઈટૂએ બુધવારે 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે જમ્મુ અને કાશ્મીરમાં શાળાઓ અને કોલેજો ગુરુવારે બંધ રહેશે.
જમ્મુ વિસ્તારમાં મુશળધાર વરસાદ અને કાશ્મીર ખીણમાં સતત વરસી રહેલા વરસાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુમાં શાળાઓ સોમવારથી બંધ છે, જ્યારે કાશ્મીરના અનંતનાગ, કુલગામ, પુલવામા, શોપિયાન, બડગામ અને શ્રીનગર જિલ્લામાં બુધવારે સાવચેતીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાઈ હતી. કાશ્મીર યુનિવર્સિટીએ પણ ગુરુવારે યોજાનારી તમામ પરીક્ષાઓ મુલતવી રાખી છે. યુનિવર્સિટીએ જણાવ્યું કે, “ખરાબ હવામાનને કારણે ગુરુવારે યોજાનારી તમામ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવે છે.”
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કાશ્મીરની ઝેહલમ સહિતની નદીઓનું જળસ્તર પૂર ચેતવણીની સપાટી વટાવી ગયું છે, જ્યારે જમ્મુ વિસ્તારમાં નદીઓ અને નાળા જોખમની સપાટીથી ઉપર વહી રહ્યા છે. સતત ચાર દિવસથી ચાલુ મુશળધાર વરસાદને કારણે વિસ્તારના મોટા ભાગના ભાગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ વચ્ચે, જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણો દેવી યાત્રામાર્ગ પર ભૂસ્ખલન થયું, જેમાં મૃત્યુઆંક વધીને 34 થયો છે. બચાવદળ હજી પણ ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.
હવામાન વિભાગે બુધવારે જમ્મુના અનેક વિસ્તારો તેમજ દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બુધવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં રાહત અને બચાવ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. તેમણે અધિકારીઓ, કેન્દ્રિય એજન્સીઓ, સેનાદળો, વાયુસેના, NDRF અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચના આપી.
ઉપરાજ્યપાલે પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ, રાશન અને ટેલિફોન કનેક્ટિવિટી જેવી આવશ્યક સેવાઓ સતત જાળવવા જણાવ્યું છે. તેમણે ખાસ ભાર મૂક્યો કે પૂરના કારણે બંધ થયેલી સેવાઓને પ્રાથમિકતાથી ફરી શરૂ કરવામાં આવે અને ખાદ્યસામગ્રી તથા દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરાઈ.
