ત્રિપુરા : અમિત શાહે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના 72માં પૂર્ણ સત્રનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે અગરતલામાં પ્રજ્ઞા ભવનમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (NEC)ના 72મા પૂર્ણ સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, લાંબા સમયથી ઉત્તર પૂર્વ નવી દિલ્હી માટે માત્ર ભાષણોનો મુદ્દો હતો, પરંતુ તેમની સંવેદનશીલતાને કારણે પીએમ મોદીએ ઉત્તર પૂર્વને વિકાસના કેન્દ્રમાં લાવ્યા. છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. પીએમ મોદીએ દિલ્હીથી ઉત્તર પૂર્વના લોકોના દિલમાં અંતર ઘટાડવાનું કામ પણ કર્યું છે. જ્યારે ખુદ પ્રધાનમંત્રીએ નોર્થ ઈસ્ટને મહત્વ આપ્યું ત્યારે અહીં અનેક વિકાસ કાર્યો થયા. અમારી સરકારે જે પણ વિવાદો હતા તેને ખતમ કરવાનું કામ કર્યું છે.
ગૃહમંત્રીએ ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) અને ભારતીય પુરાવા અધિનિયમ (BSA) ના અસરકારક અમલીકરણને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રીઓને પણ વિનંતી કરી.
તેમણે કહ્યું હતું કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ ત્રણ નવા કાયદાઓની પ્રગતિ અને અમલીકરણ અંગે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં લાંબા સમયથી પડતર આંતર-રાજ્ય સરહદ વિવાદો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં આવી રહ્યા છે.
અમિત શાહે કહ્યું હતું કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા પછી, ઉત્તર-પૂર્વના રાજ્યોની શાંતિ અને સૌહાર્દ માટે 20 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને પ્રદેશના રાજ્યોમાં વિવિધ આતંકવાદી સંગઠનોના 10,574 કેડરોએ આત્મસમર્પણ કર્યું હતું. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, "શાંતિ જાળવવા અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં રાખવા માટે રાજ્ય પોલીસ, આર્મી, આસામ રાઇફલ્સ અને અન્ય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને સંડોવતા બહુ-પક્ષીય અભિગમ અપનાવવામાં આવ્યો છે."
બે દિવસીય પરિષદમાં, ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ આ પ્રદેશ માટે વિકાસ વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા અને પ્રાથમિકતા આપવા માટે એકઠા થયા છે. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર પણ હાજર છે.
શાહ શુક્રવારે NECના 72મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરવા ત્રિપુરા પહોંચ્યા હતા. કાઉન્સિલ ઉત્તર-પૂર્વ ક્ષેત્રના આર્થિક અને સામાજિક વિકાસ માટે નોડલ એજન્સી છે. જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.
આ બેઠકનો ઉદ્દેશ પૂર્વોત્તર ક્ષેત્રમાં સમૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પૂર્ણ બેઠક પ્રદેશના સર્વાંગી વિકાસ માટે ભાવિ યોજનાઓની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ચાલુ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરશે.
