દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના રોડમેપ પર ભારત-કેનેડા સહમત, ટૂંક સમયમાં યોજાશે મંત્રી સ્તરીય વાટાઘાટો
Live TV
-
ભારત અને કેનેડા દ્વિપક્ષીય સંબંધોને ફરી મજબૂત કરવાના રોડમેપ પર સહમત થયા છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમના કેનેડિયન સમકક્ષ અનિતા આનંદ વચ્ચે દિલ્હીમાં થયેલી વાટાઘાટો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. બંને દેશોએ પરસ્પર વિશ્વાસનું પુનર્નિર્માણ કરવા અને આર્થિક, સંરક્ષણ, ટેકનોલોજી, ઊર્જા (LNG/LPG), અને કૃષિ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સંમત થયા છે, જેમાં કેનેડા-ભારત CEO ફોરમ અને મંત્રી સ્તરીય ઊર્જા સંવાદને પુનઃ સક્રિય કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ભારત અને કેનેડા સોમવારે દ્વિપક્ષીય સંબંધોને ફરીથી મજબૂત કરવાના રોડમેપ પર સહમત થયા છે. બંને દેશોના વિદેશ મંત્રીઓની વાટાઘાટો પછી બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે, "વર્તમાન વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધતા ભૌગોલિક રાજકીય તણાવના સંદર્ભમાં, મજબૂત અને લચીલા ભારત-કેનેડા દ્વિપક્ષીય સંબંધો અનિવાર્ય છે."
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કેનેડિયન સમકક્ષ સાથે હૈદરાબાદ હાઉસમાં વાર્તા કરી
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોમવારે તેમની કેનેડિયન સમકક્ષ અનિતા આનંદ સાથે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને નેતાઓની વાતચીત બાદ બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોએ સંબંધોને ફરીથી ગતિ આપવા માટે અગાઉ કેટલાક પગલાં લીધા હતા. હવે બંને પક્ષોએ "સામાન્ય લોકશાહી મૂલ્યો પ્રત્યે પરસ્પર સન્માન, કાયદાનું શાસન અને સાર્વભૌમત્વ તથા પ્રાદેશિક અખંડિતતાના સિદ્ધાંતોને જાળવી રાખવાની પ્રતિબદ્ધતાના આધારે ભારત-કેનેડા સંબંધો માટે એક નવા રોડમેપ" પર સર્વસંમતિ બનાવી છે.
કેનેડા-ભારત CEO ફોરમની પુનઃ શરૂઆત થશે
આ અંતર્ગત, બંને દેશો આજના આર્થિક વાસ્તવિકતાઓ અને દરેક દેશની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓથી પ્રેરિત દ્વિપક્ષીય વેપાર અને રોકાણ પર મંત્રી સ્તરીય ચર્ચાઓ ટૂંક સમયમાં શરૂ કરશે. આ ઉપરાંત, કેનેડા-ભારત CEO ફોરમની ફરીથી શરૂઆત થશે. કેનેડા-ભારત મંત્રી સ્તરીય ઊર્જા સંવાદ ફરીથી સ્થાપિત થશે. સંયુક્ત વિજ્ઞાન અને ટેકનોલોજી સહયોગ સમિતિ ફરીથી સક્રિય થશે. બંને મંત્રીઓએ વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવાનો સંકલ્પ લીધો, જેમાં વધુ અસરકારક અને સમાવેશી બહુપક્ષીય સંસ્થાઓને સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનો પણ સમાવેશ થાય છે.
આ પ્રયાસો બંને દેશો વચ્ચે વિશ્વાસના પુનર્નિર્માણ અને સહયોગને નક્કર બનાવવામાં યોગદાન આપશે
મંત્રીઓએ સંમતિ વ્યક્ત કરી કે તેમના હાઈ કમિશન અને વાણિજ્ય દૂતાવાસો વહેંચાયેલા, મહત્વાકાંક્ષી એજન્ડાને પૂર્ણ કરવા માટે આર્થિક, રાજકીય, સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રોમાં વિશેષજ્ઞતાનો ક્રમિક રીતે ઉપયોગ કરીને સંસ્થાકીય ક્ષમતાને મજબૂત કરશે. આ પ્રયાસો બંને દેશો વચ્ચે વિશ્વાસના પુનર્નિર્માણ અને સહયોગને નક્કર બનાવવામાં યોગદાન આપશે.
બંને દેશો જળવાયુ કાર્યવાહી, પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન પર દ્વિપક્ષીય સહયોગ વધારશે
બંને દેશો જળવાયુ (આબોહવા) કાર્યવાહી, પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન પર દ્વિપક્ષીય સહયોગ વધારશે. એલએનજી અને એલપીજી ના દ્વિપક્ષીય વેપાર તથા તેલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત, રોડમેપમાં સ્વચ્છ, સુરક્ષિત અને ન્યાયી ઊર્જા સહયોગને આગળ વધારવા સાથે-સાથે ક્ષેત્રની પ્રવૃત્તિઓને સમર્થન આપવા અને સહયોગને વધુ ઊંડો બનાવવાના ઇરાદાની પુષ્ટિ કરવામાં આવી.
બંને પક્ષો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ માળખા સહિત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવા મોરચા ખોલવા માટે સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. સાથે જ કૃષિ ક્ષેત્રમાં સહયોગ સહિત શિક્ષણ, પ્રવાસન, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વ્યાવસાયિક ગતિશીલતામાં સહયોગને સુદૃઢ કરવા પર પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી.
