પીએમ મોદી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ માટે રેકોર્ડ બ્રેક 3.25 કરોડ નોંધણીઓ સામે આવી
Live TV
-
આ પહેલ રાષ્ટ્રવ્યાપી ચળવળ તરીકે સતત આગળ વધી રહી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 'પરીક્ષા પે ચર્ચા' માં ભાગ લેવા માટે આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ નોંધણી કરાવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 3.25 કરોડથી વધુ લોકોએ પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે. પરીક્ષા પે ચર્ચા માટે નોંધણી કરાવનારાઓમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
આ પહેલ રાષ્ટ્રવ્યાપી ચળવળ તરીકે સતત આગળ વધી રહી છે
આ નોંધણી પ્રક્રિયા હાલમાં ચાલુ છે પરંતુ આજરોજ 14 જાન્યુઆરી નોંધણીનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ નોંધણી પ્રક્રિયા બંધ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સીમાચિહ્નરૂપ પહેલ પરીક્ષા પે ચર્ચા પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવાની રીતો શીખવે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય માને છે કે પરીક્ષાઓને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે આ પહેલ રાષ્ટ્રવ્યાપી ચળવળ તરીકે સતત આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી પરીક્ષા સંબંધિત વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના જવાબ આપે છે. આ સાથે પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓને કોઈપણ તણાવ અને દબાણ વિના પરીક્ષામાં કેવી રીતે બેસવું તે અંગેનો માર્ગ પણ બતાવે છે.
શિક્ષકો અને વાલીઓ તરફથી 3.25 કરોડથી વધુ નોંધણીઓ
PPC 2025 ની 8 મી આવૃત્તિએ ભારત અને વિદેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી 3.25 કરોડથી વધુ નોંધણીઓ સાથે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નોંધપાત્ર પ્રતિભાવ એક સાચા જનઆંદોલન તરીકે કાર્યક્રમની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે. PPC 2025 માટે ઓનલાઈન નોંધણી MyGov.in પર 14 ડિસેમ્બર 2024 થી શરૂ થઈ હતી અને 14 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે.
તેમને પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા માટે પ્રેરિત કરવાનો છે
શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે આયોજિત, આ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ શિક્ષણનો બહુપ્રતિક્ષિત ઉજવણી બની ગયો છે. વર્ષ 2024 માં PPC ની 7મી આવૃત્તિ નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં યોજાઈ હતી. PPC ની ભાવનાને અનુરૂપ, 12 જાન્યુઆરી 2025 (રાષ્ટ્રીય યુવા દિવસ) થી 23 જાન્યુઆરી 2025 (નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ) સુધી શાળા સ્તરે અનેક આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો અને તેમને પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા માટે પ્રેરિત કરવાનો છે.
