પ્રધાનમંત્રી આવતીકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રસીકરણ અભિયાન અંગે બેઠક કરશે
Live TV
-
ગઈકાલે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કોવિડ-19 રસીકરણ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તૈયારીઓની સાથે દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમિક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. ત્યારબાદ જાણવામાં આવ્યું હતું કે કોરોના મહામારીનું રસીકરણ અભિયાન શરુ થવા જઈ રહ્યું છે.
ત્યારે આવતી કાલે પ્રધાનમંત્રી તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ જોડે બેઠક કરશે. આ બેઠકમાં તમામ રાજ્યોમાં આગામી 16 તારીખે શરુ થનારા રસીકરણ અભિયાનની સુસજ્જ તૈયારીઓ વિષે પ્રધાનમંત્રી રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડે ચર્ચા અને સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19ની સ્થિતિ અને કોવિડ-19ના રસીકરણ માટેની સજ્જતા અંગેની સમીક્ષા કરી હતી. આ સમિક્ષા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે, આગામી તા.16 મી જાન્યુઆરી - 2021ના રોજ એટલે કે, લોહરી, મકર સંક્રાંતિ, પોંગલ અને માગ બિહુ સહિતના આગામી તહેવારો પછી કોરોના સામેની રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
રસીકરણમાં સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારોને અગ્રતા આપવામાં આવશે જેની અંદાજિત સંખ્યા આશરે ત્રણ કરોડ જેટલી છે. ત્યાર બાદ 50 વર્ષથી વધુ વયના અને કો-મોર્બિડિટી ધરાવતા 50 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓનો, સમાવેશ કરવામાં આવશે. જેની સંખ્યા આશરે 27 કરોડની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કોવિડ-19 રસીકરણ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તૈયારીઓની સાથે દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમિક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.
