પ્રધાનમંત્રી આવતીકાલે ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં વોડીયો કોન્ફરન્સથી જોડાશે
Live TV
-
સુશાસનની આ સફળ પહેલને 20 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે
ટેક્નોલોજીના માધ્યમથી જનફરિયાદોના ઝડપી નિવારણ માટે વર્ષ 2003 માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ SWAGAT કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. સુશાસનની આ સફળ પહેલને 20 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાશે. રાજ્યના નાગરિકોને અસરકારક સેવાઓ પૂરી પાડવા માટે સ્વાગત કાર્યક્રમને ભારત સરકાર દ્વારા 2010-11માં ‘નેશનલ એવોર્ડ ફોર ઇ-ગવર્નન્સ, 2010-11’ થી પણ પુરસ્કૃત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, જાહેર સેવાઓમાં સુધારો કરવા માટે ઇન્ફર્મેશન ટેક્નોલોજીના કાર્યક્ષમ ઉપયોગ બદલ ગવર્મેન્ટ પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશનની કેટેગરી હેઠળ સ્વાગત કાર્યક્રમને ‘CXO એવોર્ડ 2011’ પણ પ્રાપ્ત થયેલ છે. ઉલ્લેખનીય છે કે, સ્વાગત કાર્યક્રમ ચાર તબક્કાઓ હેઠળ અમલી કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
