ભારતીય સેના આજે 76માં સેના દિવસની કરી રહી છે ઉજવણી
Live TV
-
ભારતીય સેના આજે 76માં સેના દિવસની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે લખનઉંમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ બીજીવાર છે કે જ્યારે કાર્યક્રમ દિલ્હી સિવાયના શહેરમાં થઈ રહ્યો છે. સૂર્ય ખેલ સંમેલનમાં પરેડ બાદ શૌર્ય સંધ્યા યોજાશે.
જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમમાં કેટલાય સૈન્ય પ્રદર્શનો થશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સેના દિવસના અવસરે સેનાના જવાનોને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ એક્સ પર લખ્યું કે, સેના દિવસ પર સેનાના જવાનો, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને શુભકામનાઓ. ભારતીય સેનામાં અનુકરણીય બહાદુરીની લાંબી પરંપરા છે, જે અત્યંત સમર્પણ સાથે રાષ્ટ્રની રક્ષા કરે છે.
તેમની દેશભક્તિ નાગરિકો માટે પ્રેરણાનો મોટો સ્ત્રોત છે. સંઘર્ષ અને શાંતિની પરિસ્થિતિમાં આપણા બહાદુર સૈનિકો દરેક સંભવ રીતે દેશની સેવા કરવા તૈયાર રહે છે. આજે કૃતજ્ઞ રાષ્ટ્ર પોતાના જીવનનું બલિદાન આપનારાઓને શ્રદ્ધાંજલિ અર્પે છે અને ભારતીય સેનાની હિંમતને સલામી આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સેના દિવસ પર સૈનિકોને શુભકામનાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું કે, સેના દિવસ પર, આપણે આપણા સૈન્યકર્મીઓના અસાધારણ સાહસ, અતૂટ પ્રતિબદ્ધતા અને બલિદાનનું સમ્માન કરીએ છીએ. આપણા રાષ્ટ્રની રક્ષા કરવા અને આપણા સાર્વભૌમત્વને જાળવવા માટે તેમનું અથાક સમર્પણ તેમની બહાદુરીનો પુરાવો છે, તેઓ શક્તિના આધારસ્તંભ છે.
