રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની ડાક કર્મયોગીના બીજા તબક્કામાં હાજરી, નવી દિલ્હીમાં 25 અભ્યાસક્રમોનો આરંભ
Live TV
-
સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આજે ડાક કર્મયોગીના બીજા તબક્કાની પૂર્ણાહુતિ સંબંધિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તે અંતર્ગત નવી દિલ્હીમાં 25 નવા અભ્યાસક્રમો શરૂ કર્યા હતા. ડાક કર્મયોગી એ લગભગ ચાર લાખ ગ્રામીણ ડાક સેવકો અને ટપાલ વિભાગના કર્મચારીઓની યોગ્યતા વધારવા માટેનું ઈ-લર્નિંગ પ્લેટફોર્મ છે.
આ પ્રસંગે બોલતા મંત્રીએ છેલ્લા 10 વર્ષમાં દેશમાં પોસ્ટલ નેટવર્કને મજબૂત કરવા માટે સરકારે લીધેલા પગલાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે પોસ્ટ ઓફિસોની હાલત ખરાબ હતી અને ઘણી પોસ્ટ ઓફિસો બંધ થઈ ગઈ હતી પરંતુ તાજેતરના સમયમાં દેશમાં પાંચ હજાર 400 નવી પોસ્ટ ઓફિસો ખોલવામાં આવી છે. મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું કે હવે ટપાલ વિભાગ નવી ટેકનોલોજી અપનાવીને લોકોને સેવાઓ પૂરી પાડી રહ્યું છે. તેમણે કોવિડ-19 સમયગાળા દરમિયાન પોસ્ટલ વિભાગના કર્મચારીઓની અવિરત કામગીરી માટે પણ પ્રશંસા કરી હતી.
