સંસદના વચગાળાના બજેટ સત્ર પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી
Live TV
-
સંસદના વચગાળાના બજેટ સત્ર પહેલા, સરકારે બંને ગૃહોની સુચારૂ કામગીરી માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. નવી દિલ્હીમાં બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, સરકાર નિયમો અનુસાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે વિપક્ષી દળોને બંને ગૃહોમાં સરકારને સહકાર આપવા અને પ્લેકાર્ડ ન લાવવા વિનંતી કરી.
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે, તેમણે સંઘીય માળખા પર કથિત હુમલા સાથે સંબંધિત મુદ્દા ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ઘણા વિરોધ પક્ષો આગામી વચગાળાના બજેટ સત્ર દરમિયાન દેશમાં બેરોજગારી, મોંઘવારી અને વધતા દેવાનો મુદ્દો ઉઠાવશે.
કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ અને અર્જુન રામ મેઘવાલ, કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી અને કે સુરેશ, ટીએમસીના નેતા સુદીપ બંદોપાધ્યાય અને સુખેન્દુ શેખર રે, જનતા દળ યુનાઈટેડના નેતા રામ નાથ ઠાકુર, ડીએમકેના નેતા ટીઆર બાલુ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પીઆર નટરાજન અને શિવ સેનાના નેતા રાહુલ શેવાળે અને અન્ય લોકો બેઠકમાં હાજર રહ્યા હતા.
સંસદનું વચગાળાનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
