સુનિતા વિલિયમ્સના પાછા ફરતા પહેલા પીએમ મોદીએ તેમને પત્ર લખ્યો, શુભેચ્છા પાઠવી
Live TV
-
નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મર્સ લગભગ નવ મહિના સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 'ફસાયેલા' રહ્યા પછી આખરે પૃથ્વી પર પાછા ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને તેમના સુરક્ષિત વાપસીની શુભેચ્છા પાઠવતો ભાવનાત્મક પત્ર લખ્યો છે.
પ્રધાનમંત્રી દ્વારા લખાયેલો આ પત્ર પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે લખ્યું, "આખી દુનિયા સુનિતા વિલિયમ્સના સુરક્ષિત વાપસીની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ મહત્વપૂર્ણ ક્ષણે, પીએમ મોદીએ ભારતની આ ગૌરવશાળી પુત્રી માટે તેમની ચિંતા અને શુભેચ્છાઓ વ્યક્ત કરી છે."
પ્રધાનમંત્રી મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, "તમે હજારો માઇલ દૂર હોવા છતાં, તમે અમારા હૃદયની ખૂબ નજીક છો. ભારતના લોકો તમારા સારા સ્વાસ્થ્ય અને તમારા મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે."
તેમણે ઉલ્લેખ કર્યો કે અમેરિકાની તેમની અગાઉની મુલાકાતો અને વિવિધ રાષ્ટ્રપતિઓને મળતી વખતે, તેઓ હંમેશા સુનિતા વિલિયમ્સ વિશે પૂછપરછ કરતા હતા.
પત્રમાં, પીએમ મોદીએ 2016 ની યુએસ મુલાકાત દરમિયાન સુનિતા વિલિયમ્સ સાથેની તેમની મુલાકાતને પણ યાદ કરી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું.
પીએમ મોદીએ લખ્યું, "તમારા પાછા ફર્યા પછી અમે તમને ભારતમાં જોવા માટે આતુર છીએ. અમારી આ મહાન પુત્રીનું સ્વાગત કરવું અમારા માટે ગર્વની વાત હશે."
તેમણે કહ્યું, "1.4અબજ ભારતીયો હંમેશા તમારી સિદ્ધિઓ પર ગર્વ અનુભવે છે. તાજેતરની ઘટનાઓએ ફરી એકવાર તમારા અદ્ભુત દૃઢ નિશ્ચય અને હિંમતને સાબિત કરી છે."
જીતેન્દ્ર સિંહે કહ્યું કે થોડા દિવસો પહેલા પીએમ મોદી નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી માઈક માસિમિનોને મળ્યા હતા અને તેમના દ્વારા આ પત્ર સુનિતા વિલિયમ્સ સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.
તેમણે જણાવ્યું કે સુનિતા વિલિયમ્સ આ ભાવનાત્મક સંદેશથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે પીએમ મોદી અને ભારતનો આભાર માન્યો હતો.
