સોશિયલ મીડિયા પર ડીપફેકને લઈ કેન્દ્ર સરકાર એક્શનમાં, ખોટી માહિતી ફેલાવનાર સામે FIR દાખલ થશે
Live TV
-
સોશિયલ મીડિયા પર ડીપફેકના ખતરાને ધ્યાને રાખતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, ડીપફેકને નિયંત્રિત કરવા માટે કડક નિયમો બનાવવામાં આવશે અને સતત બેઠકોનો દોર શરુ છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ડીપફેક સામે કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે એક એડવાઇઝરી જારી કરી હતી, જેમાં આ પ્રકારની કાયદાકીય જોગવાઈઓની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. અગાઉ પણ ચંદ્રશેખરે કહ્યું હતું કે, ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ઑનલાઇન પ્લેટફોર્મની કાયદાકીય જવાબદારી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખરે કહ્યું કે, આજથી આઈટી નિયમોના ઉલ્લંઘન માટે ઝીરો ટોલરન્સ સેટ કરવામાં આવશે. ખોટી માહિતી ફેલાવનાર વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને IT નિયમો અનુસાર ફેરફાર કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.
