સ્વરોજગાર તાલીમ આપીને આત્મનિર્ભર બનાવતી સંસ્થા રૂડસેટ
Live TV
-
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને બેંકોના સહયોગ દ્વારા ગ્રામીણ વિકાસ અને સ્વરોજગાર તાલીમ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા પદ્મવિભૂષણ ડૉ. ડી વિરેન્દ્ર હેગડેના અધ્યક્ષ સ્થાને કર્ણાટકના ધર્મસ્થળ મંજુનાથેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ કાર્યરત છે. રૂડસેટ સંસ્થા નિ:શુલ્ક તાલીમ, આહાર તથા રહેઠાણની સુવિધા પૂરી પાડે છે. રૂડસેટ સંસ્થાનું જમા પાસું તેની વ્યવહારુ, કાર્યક્ષમ અને કઠોર તાલીમ છે. રૂડસેટ સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગાર ખાસ કરીને ગ્રામ્ય કક્ષાના 18 થી 45 વર્ષની વયના યુવાનોને શોધી, તેમને તાલીમ લેવા પ્રોત્સાહિત કરી, તાલીમ પૂરી પાડી અને ત્યારબાદ સ્વરોજગાર માટે પ્રેરિત કરવાનો છે.
ગુજરાતમાં ખેડા અને આણંદ જિલ્લામાં રૂડસેટ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થામાં 1 થી 6 અઠવાડિયામાં તાલીમાર્થીઓને વિવિધ વિષયો જેમ કે ટેલરિંગ, બ્યુટી પાર્લર, મોબાઇલ રીપેરીંગ, એસી અને ફ્રીઝ રીપેરીંગ, કોમ્પુટર- ડીટીપી, ઇલેક્ટ્રિશિયન, વિડીયોગ્રાફી, પશુપાલન, જીએસટી સહાયક,બેકરી પ્રોડક્ટ અને ફૂડ પ્રોસેસિંગ, હાર્ડવેર તથા નેટવર્કિંગ જેવા વિવિધ કાર્યક્રમોમાં ટૂંકા ગાળાની ઘનિષ્ઠ તાલીમ પૂરી પાડવામાં આવે છે. આ તાલીમ ખાસ કરીને ભારત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે નેશનલ રૂરલ લાઈવ્લીહૂડ મિશન, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત એક વર્ષમાં 777 બેરોજગાર વ્યક્તિઓને તાલીમ આપવામાં આવી હતી.રૂડસેટ માત્ર તાલીમ જ નહીં પરંતુ તેની સાથે આગામી બે વર્ષ દરમિયાન રોજગાર પ્રાપ્ત થાય ત્યાં સુધી સંસ્થા દ્વારા સતત માર્ગદર્શન, બેંક દ્વારા લોન માટેની કાર્યવાહી, માર્કેટિંગ માટે મદદ સાથેના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવે છે. તાલીમાર્થીઓને સંસ્થામાં જ રહીને તાલીમ લેવાની હોય છે. આ તાલીમ દરમિયાન તમામ તાલીમાર્થીઓ ને જે-તે વિષયની પ્રેક્ટીકલ તથા વ્યવહારુ તાલીમ ઉપરાંત વ્યક્તિ વિકાસને લગતા અન્ય વિષયો જેમ કે લક્ષ્ય નિર્ધાર, દ્રષ્ટિકોણ, સમયનું સંચાલન, સફળ સંદેશા વ્યવહાર, સમસ્યાઓનું સમાધાન, ક્વોલિટી મેનેજમેન્ટ, ભાવ નિર્ધારણ, બેંકની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આમ તાલીમાર્થી આત્મનિર્ભર બને ત્યાં સુધી તમામ મદદ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
