PM મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક: મતભેદો વિવાદ ન બનવા જોઈએ પર અપાયો ભાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં આયોજિત બ્રિક્સ (BRICS) શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
આ બેઠક દરમિયાન બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે બે દેશો વચ્ચેના મતભેદો ક્યારેય વિવાદમાં પરિણમવા ન જોઈએ. બંને દેશોએ પોતાના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોવા જોઈએ.
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, બંને નેતાઓએ ઓગસ્ટ 2025માં તિયાનજિન ખાતે યોજાયેલી તેમની અગાઉની બેઠક પછી ભારત-ચીન સંબંધોમાં થયેલી સ્થિર પ્રગતિને આવકારી હતી. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને પક્ષોએ પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતના ત્રણ મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ.
સરહદે શાંતિ સૌથી મહત્વપૂર્ણ
બેઠક દરમિયાન PM મોદીએ રેખાંકિત કર્યું હતું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાની જાળવણી એ દ્વિપક્ષીય સંબંધોના સતત વિકાસ માટે અતિ આવશ્યક પાયો છે. વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે બંને દેશે સરહદ સંબંધિત મુદ્દાઓ પર થયેલા હાલના કરારો અને સંમતિઓનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બંને નેતાઓએ સરહદ પ્રશ્નનો ન્યાયી, વ્યાજબી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ લાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.વેપાર અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પર ભાર
બેઠકમાં બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન, વેપારી સંબંધો અને લોકોની અરસપરસ અવરજવર વધારવા પર સંમતિ સધાઈ હતી. આર્થિક મુદ્દાઓ પર વાત કરતા બંને નેતાઓએ માળખાકીય વેપાર અસંતુલન અને સપ્લાય ચેઈનને લગતી ચિંતાઓને દૂર કરવા તેમજ બંને દેશોના બજારોમાં સરળ પ્રવેશ સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રી મોદીએ ભારતની બ્રિક્સ અધ્યક્ષતા પ્રત્યે ચીનના સમર્થન અને બ્રિક્સ શિખર સંમેલન-2026ની સફળતામાં ચીનના યોગદાનની પ્રશંસા કરી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
