PM મોદી આસામ-પશ્ચિમ બંગાળના પ્રવાસે, 'અસોમ માલા'નો કરશે પ્રારંભ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે અને ત્યાં કેટલીક વિકાસ પરિયોજનાઓ શરૂ કરશે. આસામમાં પ્રધાનમંત્રી રાજમાર્ગો અને મુખ્ય જિલ્લા માર્ગોના નેટવર્કને બહેતર બનાવવાના ઉદ્દેશથી 'અસોમ માલા' નો શુભારંભ કરશે. જેનાથી પરિવહન માર્ગની સાથે આર્થિક વિકાસ કેન્દ્રોને પણ પરસ્પર જોડવાનું કાર્ય થશે.
અસોમ માલા, રાષ્ટ્રીય રાજમાર્ગો અને ગ્રામીણ માર્ગોના નેટ વર્કની સાથે મલ્ટી મોડલ પરિવહનની સુવિધા સાથે ગુણવત્તાપૂર્ણ સંપર્ક માર્ગ પ્રદાન કરશે.. તેનાથી આંતર રાજ્ય કનેક્ટીવિટીમાં પણ સુધારો થશે. તેઓ વિશ્વનાથ અને ચરાઇ દેવમાં નિર્માણ પામી રહેલી બે મેડિકલ કોલેજ અને હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે.
આ પરિયોજનાનો કુલ અપેક્ષિત ખર્ચ 1100 કરોડ રૂપિયાથી પણ વધુ છે. દરેક હોસ્પિટલમાં 500 બેડની ક્ષમતા અને એમબીબીએસની 100 બેઠક હશે. મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની સંખ્યામાં વધારાથી રાજ્યમાં ડોક્ટરોની અછત દૂર થવાની સાથે સંપૂર્ણ પૂર્વોત્તર ક્ષેત્રો માટે આસામને મેડિકલ શિક્ષણનું કેન્દ્ર બનાવશે.
આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી આજે આસામની સાથે પશ્ચિમ બંગાળની પણ મુલાકાત લેશે. ત્યાં તેઓ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્મિત એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ દેશને સમર્પિત કરશે. જેની ક્ષમતા 1 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. તે પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતની એલપીજીની વધતી જરૂરિયાત ને પૂર્ણ કરશે અને દરેક ઘરને સ્વચ્છ રાંધણ ગેસ પૂરો પાડવામાં , મદદ કરશે.
