ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા 'કિડનોવેશન' અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ
Live TV
-
શિક્ષકો અને માતા-પિતાને બાળકની વિચારશક્તિ ઓળખી તેને ઇનોવેશન તરફ દોરી જવા અપીલ કરાઈ
ગુજરાતના બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાને પ્રોત્સાહિત કરી તેમને આવિષ્કાર તથા પેટન્ટ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા 'કિડનોવેશન' પ્રકલ્પનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના પ્રથમ તબક્કા રૂપે, બાયસેગ સ્ટુડિયો અને યુટ્યુબના માધ્યમથી રાજ્યભરના શિક્ષકો અને મેન્ટર્સ માટે એક ખાસ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાળશિક્ષણના પ્રણેતા ગિજુભાઈ બધેકાની પુણ્યતિથિના પાવન અવસરે યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોશીએ શિક્ષકો અને માતા-પિતાને અપીલ કરી હતી કે તેઓ બાળકોને તૈયાર જવાબો આપવાને બદલે તેમની જિજ્ઞાસા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહિત કરે, જેથી બાળકો સંશોધન તરફ આગળ વધી શકે. પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. નિલેશ પંડ્યાએ આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોમાં બાળપણથી જ ડિઝાઇન થિંકિંગ અને સર્જનાત્મકતાનો વિકાસ કરવાનો હોવાનું જણાવ્યું હતું, જ્યારે ડૉ. ભાવેશ પંડ્યાએ અભિયાનના વિવિધ તબક્કાઓ અને નોંધણી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં સૃષ્ટિ સંસ્થાના સેક્રેટરી ચેતનભાઈ પટેલ દ્વારા સફળ બાળ ઇનોવેટર્સના ઉદાહરણો આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. 'વિચારથી સર્જન અને સર્જનથી પરિવર્તન'ના ધ્યેય સાથે શરૂ થયેલું આ અભિયાન આગામી સમયમાં ગુજરાતના હજારો બાળકોમાં નવોચાર અને પેટન્ટ સંસ્કૃતિનો મજબૂત પાયો નાખશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર આયોજનમાં યુનિવર્સિટીના વિવિધ નિષ્ણાતોની સક્રિય ભૂમિકા રહી હતી, જેમાં મોટી સંખ્યામાં રાજ્યના શિક્ષણવિદો અને શિક્ષકો જોડાયા હતા.
