ચોટીલાની તળેટીમાં લોકસંસ્કૃતિનો મહાકુંભ
Live TV
-
ચોટીલાની તળેટીમાં લોકસંસ્કૃતિનો મહાકુંભ
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે 'ચોટીલા ઉત્સવ 2026'નો ભવ્ય પ્રારંભ થયો છે. વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ઉત્સવના પ્રથમ દિવસે જ કલાપ્રેમીઓ અને શ્રદ્ધાળુઓની ભારે મેદની ઉમટી પડી હતી. સમગ્ર તળેટી વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો અને વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક
ઉત્સવના પ્રથમ દિવસે ગુજરાતના વિવિધ પ્રદેશોની લોકકલાનું અદભૂત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગણેશ વંદના અને લાવણી: રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા ગણેશ વંદના અને મનમોહક લાવણી નૃત્ય રજૂ કરાયું હતું. થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પંચાળની ધરતીનો પારંપરિક 'હુડો રાસ' રજૂ કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા. ભાવનગરના કલ્ચરલ ગ્રુપ ઓફ ક.પરા દ્વારા ગોહિલવાડની શાન સમાન પ્રાચીન ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. ડાંગના રાધિકા આદિવાસી લોકનૃત્ય કલા મંડળ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમું 'પાવરી નૃત્ય' રજૂ કરાયું હતું. અમદાવાદના રક્ષા પ્રોડકશન દ્વારા "રંગ મેઘાણી" ફોક ફ્યૂઝન મ્યુઝીક શો રજૂ કરવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
નવી પેઢી માટે પ્રેરણા
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવા ઉત્સવોના આયોજનથી નવી પેઢીમાં આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિ આવે છે. આ ઉત્સવ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ ગુજરાતની અસ્મિતાના દર્શન કરાવવાનું માધ્યમ બન્યો છે.
કલાકારોનું સન્માન
પ્રથમ દિવસના કાર્યક્રમોની સફળતા બાદ, ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભાગ લેનાર તમામ કલાકારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા સુચારૂ આયોજનની નાગરિકો અને કલાકારોએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
