મહુવામાં એગ્રો અને ફૂડ એક્સપોર્ટ સેમિનાર યોજાયો, ખેડૂતો અને ઉદ્યોગકારોને નિકાસની નવી તકો અંગે માર્ગદર્શન
Live TV
-
મહુવા ખાતે આજે એગ્રો અને ફૂડ એક્સપોર્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મહુવાના અગ્રણી ઉદ્યોગપતિઓ, મહુવા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, વેપારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો, વેપારીઓ અને ઉદ્યોગકારોને વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ નિકાસની તકો અંગે માહિતગાર કરવાનો હતો.
સેમિનારમાં મહુવાના લોકપ્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે મહુવા વિસ્તાર કૃષિ અને બાગાયતી પાકોના ઉત્પાદન માટે આગવી ઓળખ ધરાવે છે. જો સ્થાનિક ઉત્પાદનોને ગુણવત્તા સાથે વૈશ્વિક બજાર સુધી પહોંચાડવામાં આવે તો ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. સરકાર દ્વારા નિકાસને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ એગ્રો અને ફૂડ એક્સપોર્ટ માટે જરૂરી ગુણવત્તાના ધોરણો, પેકેજિંગ, બ્રાન્ડિંગ, ફૂડ સેફ્ટી, નિકાસ પ્રક્રિયા તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ધરાવતા ઉત્પાદનો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ ખેડૂતો અને ઉદ્યોગકારોના પ્રશ્નોના જવાબ આપી તેમને વ્યવહારુ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
ઉપસ્થિત ઉદ્યોગકારો અને વેપારીઓએ આવા સેમિનારોના આયોજનને સમયની જરૂરિયાત ગણાવી હતી. તેમણે જણાવ્યું કે યોગ્ય માહિતી અને માર્ગદર્શન મળવાથી સ્થાનિક ઉત્પાદનોને દેશ-વિદેશના બજારમાં નવી ઓળખ મળશે અને ઉદ્યોગોને પણ વિકાસની નવી દિશા મળશે.
સમગ્ર કાર્યક્રમમાં મહુવાના વિકાસ, કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન અને સ્થાનિક ઉત્પાદનોની નિકાસ વધારવા માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આયોજકોના જણાવ્યા મુજબ આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવામાં આવશે, જેથી ખેડૂતો, વેપારીઓ અને ઉદ્યોગકારોને સતત નવી માહિતી અને માર્ગદર્શન મળી રહે.
