વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના સંસ્કારધામ ખાતે યોજાયો ઈક્વેસ્ટેરીયન કાર્નિવલ
Live TV
-
એશિયન ગેમ્સના સિલ્વર મેડાલિસ્ટ ઈક્વેસ્ટેરીયન જિતેન્દર સિંધે ભાગ લઈ વધાર્યો સૌનો ઉત્સાહ
વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા સંસ્કારધામ સ્પોર્ટસ એકેડમી, સંસ્કારધામ કેમ્પસ, અમદાવાદ ખાતે ઈક્વેસ્ટેરીયન કાર્નિવલ યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન અમદાવાદ શહેરના ઈ.ચા. પોલીસ કમીશનર પ્રેમવીર સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલનું મુખ્ય આકર્ષણ એશિયન ગેમ્સના સિલ્વર મેડાલિસ્ટ જિતેન્દર સિંઘ રહ્યા. તેમણે ઘોડેસવારી કરીને સૌના દિલ જીતી લીધા. ઐતિહાસિક રીતે જોઈએ તો, ગુજરાત ઘોડા અને ઘોડેસવારી માટે જાણીતુ છે. ઘોડેસવારીનો શોખ અને જુસ્સો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતાડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘોડેસવારી એ પ્રથમ ઓલમ્પિકથી ઓલમ્પિક રમતોત્સવમાં રમાતી રમત છે. જે ઈક્વેસ્ટેરીયન તરીકે પ્રસિદ્ધ છે તથા તેમાં વિવિધ ઈવેન્ટમાં ખેલાડીઓ પોતાનું કૌવત દાખવતા હોય છે. આ રમતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતવાની ઘણી તકો રહેલી છે, જેના માટે માળખાગત સુવિધાઓ હોવી જરૂરી છે. જેમ કે, ઉચ્ચ કક્ષાના ઘોડા, તાલીમનું મેદાન, નિષ્ણાંત કોચીઝ કે જેઓ રાજ્યના બાળકોને ઈક્વેસ્ટેરીયન (ઘોડેસવારી) રમતની તાલીમ ખેલાડીઓને આપી શકશે. આ તમામ સુવિધાઓ સાથે સંસ્કારધામ સ્પોર્ટસ એકેડમી દ્વારા ઈક્વેસ્ટેરીયન એકેડમી શરૂ કરી છે તથા રાજ્યના ખેલાડીઓ, યુવાનો, વાલીઓ અને રમતપ્રેમીઓને આ રમતની માહિતી મળી રહે તે માટે ઈક્વેસ્ટેરીયન કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્નિવલમાં સંસ્કારધામ સ્પોર્ટસ એકેડમીના ઘોડેસવારો દ્વારા ઓલમ્પિક રમત ઈક્વેસ્ટેરીયનની ફ્લેગ માર્ચ, શો જમ્પિંગ, ડ્રેસેજ જેવી ઈવેન્ટનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્કારધામના ટ્રસ્ટી ડૉ. આર.કે. શાહ સહિત અન્ય ટ્રસ્ટીઓ, સંસ્થાની વિવિધ પાંખોના વડાઓ, રાજ્યના જાણીતા રમતવીરો, મહાનુભાવો, વાલીઓ, રાજ્યના અશ્વપ્રેમીઓ અને રમતપ્રેમી લોકો ઈક્વેસ્ટેરીયન કાર્નિવલને નિહાળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
