રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા અને ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ વસંતોત્સવ 2023 નો શાનદાર કરાવ્યો પ્રારંભ
Live TV
-
ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા અને ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયર હિતેશ મકવાણાએ વસંતોત્સવ 2023 નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરની સાબરમતી નદીના સાંનિધ્યમાં આવેલા સંસ્કૃતિ કુંજના મંચ પર રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ સાથે આ વસંતોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો શુભારંભ ગણેશવંદના સાથે કરવામાં આવ્યો હતો.
રાજકોટના જીજ્ઞેશ સુરાની ગ્રુપ દ્વારા તેની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે ઓરિસ્સાના લોકનૃત્ય-સાંબલપુરી નૃત્ય, પંજાબના ભાંગડા, રાજસ્થાનનું કાલબેલિયા, છત્તીસગઢનું સેલા નૃત્ય, હરિયાણાનું લોક નૃત્ય, ગુજરાતના ડાંગી નૃત્ય અને રાસ-ગરબા ઉપરાંત ગુજરાતની પરંપરાગત ભવાઈ અને કેરવા નૃત્યની પ્રસ્તુતિએ કલારસિકોનાં દિલ જીતી લીધા હતા.
આ પ્રસંગે ગુજરાતના પ્રસિદ્ધ લોક કલાકાર ઓસામણ મિરે વસંતના વધામણા કરી લોક સાહિત્ય દ્વારા ઉપસ્થિત કલા રસિકોને અભિભૂત કર્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વે રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહ તડવી, રીટાબેન પટેલ, અગ્ર સચિવ અશ્વિનીકુમાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.