અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટને મળી ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટની પરવાનગી
Live TV
-
દેશમાં સરકારી – અર્ધસરકારી સંસ્થામાં યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ સુવિધા ધરાવતી પ્રથમ સંસ્થા બનશે
અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટને ગર્ભાશયના પ્રત્યારોપણની પરવાનગી મળી છે. હવેથી કિડની ઇન્સ્ટીટ્યુટ ખાતે કિડની, લીવર, સ્વાદુપિંડ ઉપરાંત યુટેરસ એટલે કે ગર્ભાશયનું પણ પ્રત્યારોપણ શક્ય બનશે. ગર્ભાશયની તકલીફના કારણે માતા બનવાનું સુખ પ્રાપ્ત ન કરી શકતી બહેનો માટે ગર્ભાશયનું પ્રત્યારોપણ વરદાનરૂપ સાબિત થશે
સમગ્ર દેશમાં સરકારી–અર્ધસરકારી સંસ્થામાં ગર્ભાશયનું પ્રત્યારોપણની સુવિધા ઉપલબ્ધ કરાવનાર કિડની ઇન્સ્ટીટ્યુટ પ્રથમ સંસ્થા બનશે. સ્ટેટ ઓથોરાઇઝેશન કમીટી દ્વારા ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન એક્ટ ઓફ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત 1994 અંતર્ગત કિડની ઇન્સ્ટીટ્યુટને ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટેની પરવાનગી આપવામાં આવી છે.
IKDRC ના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા સમગ્ર વિગતો આપતા જણાવે છે કે, આ અગાઉ દેશમાં ફક્ત પુનાની ખાનગી ઇન્સ્ટીટ્યુટમાં ગર્ભાશયનું પ્રત્યારોપણ શક્ય બનતું હતું. જેમાં ગર્ભાશય પ્રત્યારોપણના 6 કિસ્સા નોંધાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે કાર્યરત SOTTO (State Organ and Tissue , Transplant Oganisation) દ્વારા શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં 22 જગ્યાએ પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત છે.
કેટલાક કારણોસર માતા બનવાનું સુખ પ્રાપ્ત ન કરી શકતી મહિલાઓ માટે ગર્ભાશયનું પ્રત્યારોપણ વરદાનરૂપ સાબિત થશે.
કેટલાક કિસ્સામાં સ્ત્રીઓમાં જન્મ જાત ગર્ભાશયની રચના થઇ હોતી નથી. અથવા અમુક કારણોસર સમય જતા ગર્ભાશયની તકલીફ ઉભી થવાના કારણે ગર્ભાશયને કાઢી નાખવામાં આવે છે. આવા કિસ્સામાં સ્ત્રીઓ માતા બનવાનું સુખ પ્રાપ્ત કરી શકતી નથી. પરંતુ હવે ગર્ભાશયનું પ્રત્યારોપણ શક્ય બનતા આ પ્રકારની તકલીફ ધરાવતી સ્ત્રીઓ માટે આ પ્રત્યારોપણ આશીર્વાદરૂપ બની રહેશે.અત્રે નોંધનીય છે કે, ગર્ભાશય અને અંડકોશ નિકળી ગયું હોય તેવી સ્ત્રીઓમાં હોર્મોનલ સતુંલન અટકે છે હવે પ્રત્યારોપણ શક્ય બનતા ઋતુચક્રની દરમિયાન હોર્મોનલ અસંતુલન અટકશે.
અમદાવાદની કિડની ઇન્સ્ટીટ્યુટમાં સરકારી યોજના હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક અથવા સામાન્ય ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કિડની ઇન્સ્ટીટ્યુટમાં અત્યારસુધીમાં 587 લીવર, 365 કિડની, 4 સ્વાદુપિંડ અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ 1472 રીનલ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.
