કેવડીયામાં બે દિવસીય રાષ્ટ્રીય રમતગમત સંમેલનની થઇ શરૂઆત, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યું ઉદ્ઘાટન
Live TV
-
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે રાજ્યોનાં યુવા બાબતો અને રમત-ગમતના મંત્રીઓની 24 જૂને ગુજરાતનાં કેવડિયામાં શરૂ થયેલી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. બે દિવસની વિચાર-વિમર્શ, ચર્ચાઓ અને શ્રેષ્ઠ પ્રેક્ટિસની વહેંચણી માટે તમામ રાજ્યોનાં પ્રતિનિધિઓને એકસાથે લાવવાના ઉદ્દેશ્યવાળી આ કોન્ફરન્સમાં કેન્દ્રીય રમત-ગમત રાજ્ય મંત્રી નિશિથ પ્રમાણિક અને 15 રાજ્યોનાં રમતગમત અને યુવા મંત્રીઓ અને 33 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોનાં રાજ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં બોલતા ઠાકુરે મહાનુભાવોને બે-દિવસીય બેઠકનો મહત્તમ લાભ લેવા વિનંતી કરી તેમને આ પ્રસંગનો જ્ઞાન-આદાન-પ્રદાન પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવા અને દરેક રાજ્યની શ્રેષ્ઠ પ્રથાઓને આગળ લાવવા આહ્વાન કર્યું, જેથી રમત ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એકીકૃત અભિગમ રચવામાં આવે. દેશનાં કેટલાક સામાન્ય મુદ્દાઓ છે જેનો તમામ રાજ્યો જ્યારે રમતગમતનો વિકાસ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સામનો કરે છે અને કેટલાક સામાન્ય ઉકેલો છે જે વિચાર-વિમર્શ દ્વારા શોધી શકાય છે. હું તમારામાંના દરેકને આ ફોરમમાં સક્રિયપણે ભાગ લેવા અને ભારતને વિશ્વનાં ટોચનાં 10 રમતગમત રાષ્ટ્રોમાં સ્થાન મેળવવાની સ્થિતિ હાંસલ કરવામાં મદદ કરવા માટે એકીકૃત રીતે કામ કરવા વિનંતી કરું છું એમ તેમણે કહ્યું હતું.
ગુજરાતના રમતગમત રાજ્ય મંત્રી હર્ષ રમેશકુમાર સંઘવીએ પણ સભાને સંબોધન કર્યું હતું. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ધરાવતા કેવડિયામાં દેશભરનાં મહાનુભાવોનું સ્વાગત કરતાં તેમણે કહ્યું કે, આજે અહીં હાજર આપણામાંના દરેક એક ચોક્કસ રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા છીએ. શક્તિઓ અને વિવિધ વિચારધારાઓ સહિત આપણી પાસે અલગ-અલગ મુદ્દાઓ હોઈ શકે છે. પરંતુ મને ખાતરી છે કે જ્યારે કોન્ફરન્સ સમાપ્ત થશે, ત્યારે બે દિવસના અંતે આપણે એક ટીમ ટીમ ઈન્ડિયા તરીકે કામ કરવા માટે તૈયાર થઈશું જેથી આપણો દેશ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સંપૂર્ણ પ્રદર્શન કરી શકે. કોન્કલેવમાં સ્પોર્ટ્સ સેક્રેટરી સુજાતા ચતુર્વેદી અને યુવા બાબતોનાં સચિવ સંજય કુમાર પણ રમતગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે હાજર હતા.
