ગાંધીનગરમાં એક દિવસીય બાળસાહિત્ય વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
આજે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક સમન્વય : વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે બાળસાહિત્ય” વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન સંયુક્ત ઉપક્રમે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં કલ્ચર સાથે જોડાણ અંગેની એક દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી.
આ પ્રસંગે પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, આજે શિક્ષણ માટેની પરંપરા આજના બાળકો ભૂલી ગયા છે, એનું મૂળ કારણ આજે વિભક્ત કુટુંભ છે, પહેલાના સમયમાં બાળકો પોતાના દાદા દાદી સાથે રહીને જે વાર્તા સાંભળતા હતા એનાથી એમણે ઘણું શીખવા અને જાણવા મળતું હતું. પરંતુ આજે વિભક્ત કુટુંભ થવાના કારણે આજે બાળક મોબાઈલ સાથે પોતાનું જોડાણ વધારે કરતું જાય છે, જેનાથી તેના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.
શિક્ષણ રાજ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે,ટેકનોલોજીનો ઉપયોગ સમય પ્રમાણે આપણે સૌ લોકોએ કરવું જોઈએ, પણ એ ટેકનોલોજીના ભરોસે રહેવું એવો બાળક આપણે આપણી શાળામાં તૈયાર ન થાય એવું શિક્ષણ આપવું જોઈએ, શિક્ષકોએ બાળકોને આત્મિયતા રાખીને ભણાવવું જોઈએ, નાના બાળકોને અનુભવ આધારિત શિક્ષણ આપવું જોઈએ, કોઈ પણ શિક્ષકે નાના બાળકોને ગોખણ પટ્ટી આધારિત શિક્ષા આપવી ન જોઈએ.
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં રામાયણ અને મહાભારતના કેટલાક અંશો શિક્ષકો સામે રજૂ કર્યા અને પહેલાના સમયની શિક્ષા પદ્ધતિ અને હાલના સમયની શિક્ષા પદ્ધતિ કઈ રીતે જુદી પડે છે અને આવનારા સમયમાં આવનારા બાળકોને કઈ રીતે ભણાવી એક મજબૂત રાષ્ટ્રનિર્માણ કરી શકીએ તે અંગે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું..એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમમાં અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપક પ્રો. કેરેન કોટ્સ ‘અમેરિકન બાળસાહિત્યમાં અગ્રણી કથાનકો’ વિષય પર, લંડન ઓર્ગેનાઈઝેશન ઓફ સ્કીલ્સ ડેવલપમેન્ટના સીઈઓ પ્રો. પરીન સોમાણી ‘બ્રિટિશ બાળસાહિત્ય’ પર, મરાઠી બાળસાહિત્યકાર એકનાથ આહ્વાડે ‘ભારતીય બાળસાહિત્ય’, પોલેન્ડની ઓપોલ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના અધ્યાપક ડૉ. ફિલિપ રુસિન્સ્કી ‘પોલિશ બાળસાહિત્ય’ તથા નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. કુસુમાકર નિયોપાને ‘નેપાળી બાળસાહિત્ય’ વિષય ઉપર વક્તવ્ય વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી આપ્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાંગી બાળવિકાસમાં બાળસાહિત્યની ભૂમિકા વિશે ચર્ચાને મંચ પૂરો પાડવાનો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ યુનિવર્સિટીઓ વચ્ચે સંશોધન આધારિત શૈક્ષણિક સહયોગ વધારવાનો છે. આ પરિસંવાદમાં દેશ-વિદેશના તજજ્ઞો, સંશોધકો દ્વારા બાળસાહિત્યને લગતા વિવિધ વિષયો ઉપર રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરિસંવાદ માટે ૧૫૦ થી વધારે સંશોધકોએ આ પરિસંવાદમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી, આઈ.આઈ.ટી. ઈ ગાંધીનગરના કુલપતિ આર.સી.પટેલ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલપતિ રમાશંકર દુબે, શિક્ષણવિદ્ ડૉ.સ્વરૂપ સંપત રાવલ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રના નિયામક સંજય ગુપ્તા, મોટી સંખ્યામાં અધિકારીઓ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સર્વ કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.