ગોધરા ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવપલ્લિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિનની સંધ્યાએ નવપલ્લવિત ગુજરાત શીર્ષક તળે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય મહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે કુલ રૂ. 5 કરોડની વિશેષ ગ્રાન્ટ સહાયના ચેક અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયને ગૌરવ અપાવનાર છ વ્યક્તિ વિશેષનું ગુજરાત ગરિમા એવોર્ડ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર 10 વ્યક્તિઓનું સન્માન કર્યું હતું.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદિત પાવનધરા પંચમહાલ પુસ્તિકા, વિઝન ડોક્યુમેન્ટ્સ @2047 અને ફ્લોરા ઓફ ગુજરાત પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લાના શહેરી વિસ્તારોના વિકાસ માટે રૂ.2.50 કરોડનો ચેક જિલ્લા કલેક્ટરને અને ગ્રામીણ વિકાસ માટે રૂ.2.50 કરોડનો ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોધરા ખાતે આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગુજરાત માત્ર ચાર અક્ષરોનો શબ્દ નહી પણ, સર્વાંગીણ વિકાસનો પર્યાય બની ગયો છે. નક્કર અને વાસ્તવિક વિકાસ લોકો નરી આંખે જોઇ શકે છે. માત્ર વિકાસની વાતો કે વાતોમાં જ વિકાસ નહી પરંતુ, તેને જમીન ઉપર ઉતાર્યો છે. આ વિકાસના કારણે જ અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારમાં વસતા વનબંધુ હવે વિશ્વબંધુ બન્યા છે. રાજ્યપાલ તથા મુખ્યમંત્રીએ ગુજરાત ગરિમા એવોર્ડ અને વિશિષ્ટ સન્માન મેળનારા નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.