પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુરતમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી સંમેલનમાં સંબોધન કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુરતમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી સંમેલનમાં સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે દરેક ગ્રામ પંચાયતમાં 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના મિશનમાં સુરતની સફળતા સમગ્ર દેશમાં એક ઉદાહરણ બની રહી છે. તેમણે પ્રાકૃતિક ખેતીનુ બીડું ઉઠાવવા બદલ ખેડૂતોની સાથે સાથે ગામના સરપંચોની ભુમિકાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે, ઓછા સમયમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. પ્રાકૃતિક ખેતી આર્થિક સફળતાનુ પણ એક માધ્યમ છે.. તેમણે ઉમેર્યુ હતુ કે જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ત્યારે એક રીતે ધરતી માતાની સેવા કરીએ છીએ.
આ ઉપરાંત તેમણે વધુ ઉમેરાતા કહ્યું કે "આપણું જીવન, આપણું સ્વાસ્થ્ય, આપણો સમાજ સૌના આધારમાં આપણી કૃષિ વ્યવસ્થા જ છે. ભારત તો સ્વભાવ અને સંસ્કૃતિથી કૃષિ આધારિત દેશ રહ્યો છે.આથી જેમ જેમ આપણો ખેડૂત આગળ વધશે, જેમ જેમ આપણી ખેતી ઉન્નત અને સમૃદ્ધ થશે, તેમ તેમ આપણો દેશ આગળ વધશે"
