પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાઃ પ્રોપટી કાર્ડ આપવા પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસાણા જિલ્લાની પસંદગી
Live TV
-
પ્રધાનમંત્રી સ્વામિત્વ સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020ના એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આ યોજના શરૂ કરવા પાછળનો સરકારનો હેતુ ગ્રામીણ ભારતને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના દ્વારા સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામીણ ભારતને મજબૂત અને સુદ્રઢ બનાવવા માંગે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ગામડાના લોકોને પણ શહેરી વિસ્તારની જેમ સુવિધાઓ મળી રહે તે સરકારનું લક્ષ્ય છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના વરદાનરુપ છે. ગામના ઘણાં લોકોની જમીનની સરકારી ચોપડે નોંધ નથી. આવી સ્થિતિમાં આ લોકો પાસેથી જમીન છીનવાઈ જવાનો ભય છે. આવા લોકોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના શરૂ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામીણ 'સ્વામીત્વ યોજના' ('Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas') શરૂઆત કરી હતી. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ઇ ગ્રામ સ્વરાજ પોર્ટલની શરૂઆત કરી હતી. પોર્ટલ ગ્રામીણ વિસ્તારની મિલકતોનું જમીન નોંધણી નિભાવ અને કેસોનું પ્રમાણ ઘટે તે માટે કેન્દ્ર સરકારે સ્વામીત્વ યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત પ્રોપટી કાર્ડ આપવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસાણા જિલ્લાની પસંદગી કરવામાં આવી છે જેમાં 79 ગામમાં ચૂના માર્કિગની કામગીરી પૂર્ણ કરવામાં આવી અને 41 ગામમાં ડ્રોનથી સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. અન્ય 38 ગામોમાં 5 જુલાઈ સુધીમાં ડ્રોન સર્વે પૂર્ણ કરાશે. સર્વે પૂર્ણ થયા બાદ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. કલેકટર દર માસે સ્વામીત્વ યોજનાની સમીક્ષા કરશે.
જો, જમીન પોતાના નામે હોય તો ગામના લોકો તેને સરળતાથી કોઈને પણ વેચી અથવા ખરીદી શકશે. આ સાથે તે બેંકમાંથી લોન વગેરેની સુવિધા પણ સરળતાથી મેળવી શકશે. આ યોજના હેઠળ, સરકાર 2021 થી 2025 સુધી 6.62 લાખ ગામડાઓને આવરી લેવાની યોજના ધરાવે છે. વર્ષ 2020-2021માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ગામોને પાયલટ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
