રાજ્યના પશુપાલન વિભાગને “ઇન્ડિયા એનીમલ હેલ્થ એવોર્ડસ-૨૦૨૨”માં શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ એનાયત
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે આપ્યા અભિનંદન
રાજ્યમાં પશુપાલનના વ્યવસાયને વધુને વધુ સદૃઢ બનાવવા માટે રાજ્ય સરકારે પશુપાલન ક્ષેત્રે અનેકવિધ માળખાકીય સવલતો પૂરી પાડી છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમના પરિણામે પશુપાલન ક્ષેત્રે માળખાકીય સુવિધાઓમાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. તાજેતરમાં રાજ્યના પશુપાલન વિભાગને “ઇન્ડિયા એનીમલ હેલ્થ એવોર્ડસ-૨૦૨૨”માં શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ એનાયત થયો છે. તાજેતરમાં નવી દિલ્લી ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ અને એગ્રીકલ્ચર તેમજ એગ્રીકલ્ચર ટુડે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અને પશુપાલન અને ડેરી વિભાગ, ભારત સરકારના સહયોગ દ્વારા આયોજિત “ઇન્ડિયા એનિમલ હેલ્થ સમીટ-૨૦૨૨” કાર્યક્રમમાં ભારત સરકારના તજજ્ઞોની સમિતિ દ્વારા “પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય” (Best State in AH Infrastructure)ના એવોર્ડ માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી હતી.
ભારત સરકાર રાજ્યકક્ષા કાયદો અને ન્યાયમંત્રી ડૉ. એસ.પી. સિંઘ બઘેલની ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે રાજ્યના પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરે રાજ્ય સરકાર વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે ગુજરાત સરકારના સન્નિષ્ઠ પ્રયાસોને બિરદાવીને પશુપાલન વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતમાં અસરકારક પશુ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યમાં ૭૦૨ પશુ દવાખાના, ૩૪ વેટરનરી પોલિક્લીનિક, ૪૫ ફરતાં પશુ દવાખાના, ૧૮ પશુ રોગ અન્વેષણ એકમની સુવિધા તેમજ મોબાઈલ ડિસીઝ ડાયગ્નોસ્ટિક લેબની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ ૫૫૨ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો પણ રાજ્યમાં કાર્યરત છે. ૫૩૦૦થી વધુ ગામડાઓમાં પશુધન માલિકોને ઘરઆંગણે વિનામૂલ્યે પશુચિકિત્સા સેવાઓ પૂરી પાડવા માટે પી.પી.પી. મોડના ધોરણે ૪૬૦ જેટલાં ફરતાં પશુ દવાખાના અમલમાં મૂક્યાં છે. આ પશુ દવાખાનાના વાહનો જીપીએસ સુવિધાથી સજ્જ છે, જેને મુખ્યમંત્રીના ડેશબોર્ડના માધ્યમથી મોનીટરીંગ કરી શકાય છે.
રાજ્યમાં વર્ષ ૨૦૧૭-૧૮થી માલિકવિહોણા, ઘાયલ અને અબોલ પશુઓની તાત્કાલિક સારવાર માટે રાજ્યના શહેરી વિસ્તારમાં પશુ સારવાર માટેના આધુનિક સાધનોથી સજ્જ ૩૭ "કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨"ની સેવાઓ રાજ્યમાં ઉપલબ્ધ છે. વધુમાં, રાજ્યના વિવિધ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો હેઠળ ૯૯૦ પશુ ચિકિત્સકો દ્વારા જે-તે દૂધ સંઘના સભાસદોને પશુ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.રાજ્યમાં વ્યાપક પશુ આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ થકી પશુઓમાં થતાં ચેપી રોગચાળામાં નોંધપાત્ર ઘટાડો થવાથી અને પશુ સંવર્ધનની અદ્યતન ટેકનોલોજીને પશુપાલકો સુધી પહોચાડવાના રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે રાજ્યના પશુઓની ઉત્પાદકતાની સાથેસાથે પશુ પેદાશોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેની સમગ્ર રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લઈ “ઇન્ડિયા એનિમલ હેલ્થ સમીટ-૨૦૨૨”માં ગુજરાત રાજ્યને “પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય” (Best State in AH Infrastructure)નો એવોર્ડ એનાયત થયેલ છે.
