અમરનાથ યાત્રા રૂટ આગામી 1 જુલાઈથી નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરાયો
Live TV
-
આગામી અમરનાથ યાત્રા માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે, જમ્મુ અને કાશ્મીર સરકારે સમગ્ર યાત્રાધામ રૂટને નો-ફ્લાઇંગ ઝોન જાહેર કર્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશના ગૃહ વિભાગે પહલગામ અને બાલતાલ બંને રૂટ સહિત અમરનાથ યાત્રાના તમામ રૂટને નો-ફ્લાઇંગ ઝોન જાહેર કર્યા છે. આ પ્રતિબંધ યુએવી, ડ્રોન અને ફુગ્ગાઓ સહિત તમામ પ્રકારના હવાઈ ઉપકરણો પર લાગુ પડે છે.
સુરક્ષા સૂચનાઓ 01 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આમ કરવાની સલાહ આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તબીબી સ્થળાંતર, આપત્તિ વ્યવસ્થાપન અથવા સુરક્ષા દળો દ્વારા કરવામાં આવતી દેખરેખ કામગીરીના કેસોમાં આ પ્રતિબંધો લાગુ પડશે નહીં. આવા અપવાદો માટે વિગતવાર માનક સંચાલન પ્રક્રિયાઓ (SOP) પછીથી જારી કરવામાં આવશે.
વાર્ષિક અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પહલગામ હુમલાને પગલે યાત્રાના સરળ અને શાંતિપૂર્ણ સંચાલન માટે વધારાના સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. યાત્રા માટે કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (CAPF)ની 580 કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે.