મથુરામાં એક સાથે 6 ઘર ધરાશાયી, 3 લોકોના મોત
Live TV
-
રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે મથુરાના ગોવિંદ નગર વિસ્તારમાં અચાનક 6 ઘરો એક સાથે તૂટી પડ્યા. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. 4 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 6-7 લોકો હજુ પણ દટાયેલા હોવાનું જાણવા મળે છે. JCB વડે માટી ખોદવામાં આવી રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. માહિતી મળતાં જ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ તોતારામ (38), બે સગી બહેનો યશોદા (6) અને કાવ્યા (3) તરીકે થઈ છે.
સ્થાનિક ભાજપ ધારાસભ્ય શ્રીકાંત શર્માએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે આ અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં શ્રીકાંત શર્માએ કહ્યું, "આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. હાલમાં અમારી પ્રાથમિકતા બચાવ કાર્ય છે. જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે દરેકને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા વિનંતી કરીએ છીએ જેથી બચાવ કાર્ય કોઈપણ અવરોધ વિના આગળ વધી શકે."
આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. કાટમાળ દૂર કરવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ખોદકામ દરમિયાન, ટેકરા પર બનેલા ચારથી છ ઘરો અચાનક તૂટી પડ્યા, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેકરા પર ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું હતું, જેના કારણે આ મોટી દુર્ઘટના બની.