વક્ફ સંશોધન કાયદા પર આજે SCમાં સુનાવણી, કેન્દ્રએ રજૂ કર્યું હતું સોગંદનામું
Live TV
-
કેન્દ્ર સરકારે 25 એપ્રિલે સોગંદનામું દાખલ કરી કાયદાને બંધારણીય ગણાવ્યો હતો...17 એપ્રિલે કોર્ટે કેન્દ્રને કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓનો જવાબ દાખલ કરવા એક અઠવાડિયાનો સમય આપ્યો હતો.
વકફ સંશોધન કાયદા પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પહેલા 17 એપ્રિલના રોજ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો. સાથે જ આગામી સુનાવણી સુધી વકફ બોર્ડની નવી નિયુક્તિ પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ આવવા સુધીમાં વકફ ઘોષિત સંપત્તિ જેમ છે તેમ જ રાખવા કહ્યું હતું. કેન્દ્ર સરકારે 25 એપ્રિલના રોજ કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું અને કહ્યું હતું કે, આ કાયદો સંપૂર્ણ રીતે કાયદાકીય છે અને સંસદમાંથી પાસ પણ થયેલ છે. જેથી તેના પર રોક ન લગાવવામાં આવે. 1332 પાનાંના સોગંદનામામાં સરકારે દાવો કર્યો હતો કે, 2013 બાદ વકફની સંપત્તિઓમાં 20 લાખ એકરથી વધારેની જમીનનો વધારો થયો છે. જેથી કેટલીક વાર ખાનગી અને સરકારી જમીનો પર વિવાદ થયેલ છે, પરંતુ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) સરકારના આંકડાઓને ખોટા ગણાવ્યા હતા અને કોર્ટને જુઠ્ઠું સોગંદનામું આપવાવાળા અધિકારી પર કાર્યવાહીની માગણી કરી હતી...
નવા વક્ફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 70થી વધુ અરજીઓ કરવામાં આવી છે, પરંતુ કોર્ટ ફક્ત પાંચ મુખ્ય અરજીઓ પર જ સુનાવણી કરશે. આમાં AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીની અરજીનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ એપ્રિલમાં નવો કાયદો અમલમાં આવ્યો. તેને લોકસભામાં 288 સાંસદો અને રાજ્યસભામાં 128 સાંસદોએ સમર્થન મળ્યું હતું. ઘણા વિપક્ષી પક્ષોએ તેનો વિરોધ કર્યો અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા.
અરજીમાં કઈ-કઈ મોટી વાતો છે ?
આ કાયદો બંધારણના અનુચ્છેદ 14, 15, 25 (ધર્મની સ્વતંત્રતા), 26 (ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા), 29 (લઘુમતી અધિકારો) અને 300A (મિલકતનો અધિકાર)નું ઉલ્લંઘન કરે છે. વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોનો સમાવેશ અને જિલ્લા કલેક્ટરને વકફ મિલકત પર નિર્ણય લેવાની સત્તા આપવાથી સરકારી દખલગીરી વધે છે. આ કાયદો મુસ્લિમ સમુદાય સાથે ભેદભાવ કરે છે, કારણ કે અન્ય ધાર્મિક ટ્રસ્ટોમાં સમાન પ્રતિબંધો નથી.