અંબાજી: 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ, શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યુ
Live TV
-
યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નો આજે બીજો દિવસ છે. આ મહોત્સવના પ્રથમ દિવસે અંદાજે સવા લાખ જેટલા માઈભક્તોએ ગબ્બર પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. આજે બીજા દિવસે પણ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બરની તળેટીમાં ઉમટી પડ્યા છે.
મહોત્સવના બીજા દિવસે આજે ભક્તિમય માહોલમાં ચામર યાત્રા અને પાદુકા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.આ મહોત્સવની ખાસિયત એ છે કે અહીં 51 શક્તિપીઠોમાં વિદેશમાં સ્થાપિત 4 મુખ્ય શક્તિપીઠોના મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ખાસ કરીને વિદેશમાં આવેલા આ શક્તિપીઠોના દર્શન અંબાજીમાં જ કરી શકતા હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગબ્બર પરિક્રમાનો 2.5 કિમીનો પદયાત્રા માર્ગ ભક્તો કોઈપણ વિઘ્ન વગર આરામથી કાપી રહ્યા છે.
સમગ્ર માર્ગ દરમિયાન ભક્તો માટે નાસ્તા અને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે.યાત્રિકોને અંબાજી મંદિરથી ગબ્બર સુધી પહોંચાડવા માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા 40 જેટલી નિશુલ્ક બસો દોડાવવામાં આવી રહી છે. ભક્તો 4 કિમીનો આ પ્રવાસ વિનામૂલ્યે અને સુવિધાજનક રીતે પૂર્ણ કરી રહ્યા છે.ગબ્બર ખાતે તૈયાર કરવામાં આવેલા ભવ્ય મંદિરો અને આયોજનને જોઈને શ્રદ્ધાળુઓએ ગુજરાત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ દીર્ઘદ્રષ્ટિના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. ભક્તોએ જણાવ્યું કે આ પરિક્રમા મહોત્સવથી ભારતની સાંસ્કૃતિક ધરોહર વધુ મજબૂત બની છે.
