અનલૉક 1માં સોમનાથ મંદિર ખૂલ્યું તો પણ મહિનાથી મંદિરની આવકમાં ઘટાડો
Live TV
-
પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવનું મંદિર કે જ્યાં બારેમાસ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે સોમનાથ મંદિરમાં પણ ભક્તો અને ટ્રસ્ટની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. રોજગાર ધંધા હોય કે મંદિરો સૌ કોઈને મહામારીની અસર થઈ છે.
કોરોના વાયરસના પગલે દેશભરમાં લોકડાઉન જાહેર થયું અને ત્યારબાદ અનલોક 1માં કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર અને પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવનું મંદિર પણ દર્શનાર્થીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યું. સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્ટ, થર્મલ ચેકઅપ અને સેનિટાઈઝર ટનલમાંથી પસાર થઈ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે.
જો કે ત્રણેય પ્રહરની આરતી દરમ્યાન પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિર ખુલતા પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શિવ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા, પરંતુ સમગ્ર ભારતમાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતું રહ્યું છે ત્યારે દેવાધિદેવ સોમનાથ મહાદેવનાં ભક્તોમાં ઘટાડો થતો ગયો છે.
સામાન્ય દિવસોમાં એક દિવસમાં જ્યાં 8 થી 10 હજાર લોકો મહાદેવના દર્શન કરતા એટલે કે એક મહિનામાં 3 લાખની આસપાસ લોકો મહાદેવના દર્શન કરતા ત્યાં આજે એક મહિનો પૂર્ણ થવા છતાં માત્ર 62 હજાર લોકોએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા. તો સામે સોમનાથ ટ્રસ્ટની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો. રૂટિન સમયમાં જ્યાં એક મહિનાની 3 થી 4 કરોડની આવક થતી તેની સામે લોકડાઉન બાદ એક મહિનામાં માત્ર 16 થી 17 લાખ જેટલી આવક થઈ છે.
