અમદાવાદમાં 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ', ઘોલ માછલીને રાજ્યની 'સ્ટેટ ફિશ' જાહેર કરાઈ
Live TV
-
'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'
'વર્લ્ડ ફિશરીઝ ડે' નિમિત્તે અમદાવાદના સાયન્સ સિટી ખાતે 2 દિવસીય 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'નું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સનું કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું. બે દિવસીય કોન્ફરન્સમાં દેશ વિદેશમાંથી મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા 5000થી વધુ સહભાગીઓ ભાગ લેશે.આ કોન્ફરન્સમાં ઘોલ માછલીને 'સ્ટેટ ફિશ' જાહેર કરવામાં આવી હતી. PM ગતિશક્તિ સ્કીમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા ઇન્લેન્ડ રિઝર્વોયર લીઝ પોર્ટલ-અંર્તદેશીય મત્સ્ય જળાશય પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં રાઉન્ડ ટેબલ મીટ, ટેકનિકલ સેશન્સ, ઇન્ડસ્ટ્રી કનેક્ટ સેશન્સ, G2G/G2B અને B2B બાયલેટરલ્સ, એક્ઝીબિશન સ્ટોલ્સ અને ફૂડ મેળા સહિતના વિવિધ આકર્ષણોએ મહેમાનોનું ધ્યાન ખેંચ્યું હતું.
ફિશ પ્રોડક્શનમાં આપણો દેશ ત્રીજા નંબરે: કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલા
કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધન તેમણે માહિતી આપતા જણાવ્યું કે વિશ્વમાં ફિશ પ્રોડક્શનમાં આપણો દેશ ત્રીજા નંબરે છે. છેલ્લાં 9 વર્ષમાં દેશના ઈનલેન્ડ ફિશરીઝ સેક્ટરમાં ત્રણ ગણો વધારો થયો છે. આ કોન્ફરન્સ થકી મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લોકોને દેશ-વિદેશમાં આ ક્ષેત્રે અપનાવવામાં આવતી વિવિધ તકનીકો, પદ્ધતિઓ, યોજનાઓ બાબતે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થશે. આ કોન્ફરન્સની ભલામણો અને સૂચનો આગામી સમયમાં આ ક્ષેત્રે પોલિસી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ મંથન દેશના ફિશરીઝ સેક્ટર માટે 'વે ફોરવર્ડ' સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
દેશના ફિશ એક્સપોર્ટમાં ગુજરાતનું 17% જેટલું યોગદાન: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. ગુજરાત રાજ્યદેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે તથા ₹5000 કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં ગુજરાતનું 17% જેટલું યોગદાન છે. આથી જ ગુજરાત આ ગ્લોબલ કોન્ફરન્સના આયોજન માટે શ્રેષ્ઠ સ્થળ છે, તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના વિઝનરી નેતૃત્વના પરિણામે મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન ક્ષેત્રે વિકાસ થકી ખરા અર્થમાં બ્લૂ રિવોલ્યુશન આવ્યું છે. 3 કરોડથી વધુ લોકો મત્સ્યપાલન સાથે જોડાયેલા છે ત્યારે દેશમાં પ્રથમ વખત પ્રધાનમંત્રીના માર્ગદર્શનથી અલગ મત્સ્યોદ્યોગ મંત્રાલય સ્થપાયું છે.
'ગુજરાત એકવાકલ્ચર લેન્ડ લીઝ પોલિસી' અમલમાં મૂકાઈ: CM
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત હંમેશાં 'પોલીસી ડ્રીવન સ્ટેટ' રહ્યું છે. રાજ્યમાં બ્લૂ ઈકોનોમી, ફિશરમેન અને ફિશ કોમર્સને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પોલિસી અમલી છે. ફિશ ફાર્મર્સને બેકીશ વોટર લેન્ડ લીઝ પર આપવા માટે 'ગુજરાત એકવાકલ્ચર લેન્ડ લીઝ પોલિસી' અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત, ઈનલેન્ડ રિઝરવોયર લીઝિંગ પોલિસી પણ બનાવવામાં આવી છે. રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેકવિધ વિકાસ પ્રકલ્પો અને પોલિસી થકી 2021-22 માં 80 લાખ મેટ્રિક ટન કરતા વધુ ફિશ પ્રોડક્શન થયું તથા 2 લાખ મેટ્રિક ટન ફિશ એકસપોર્ટ કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.સાગર ખેડૂઓના સર્વાંગી વિકાસ માટે 'સાગરખેડૂ વિકાસ યોજના' ખૂબ સફળ રહી છે. દેશમાં પ્રથમ વખત માછીમારી સાથે સંકળાયેલા વ્યવસાયકારો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા. જેના દ્વારા તેમને વેપાર વૃદ્ધિ માટે ટોકન દરે બેંક લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દેશમાં કોસ્ટલ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે 'સાગરમાલા' પરિયોજના શરૂ કરવામાં આવી છે, જે હેઠળ રોડ-રસ્તા, વીજળી, પોર્ટ કનેક્ટિવિટી સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે કાર્યો કરવામાં આવે છે.
આ વર્ષે 482 માછીમારો પાકિસ્તાનથી માદરે વતન પાછા ફર્યા: મંત્રી રાઘવજી પટેલ
રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી ગુજરાતના માછીમારોને ફાયદો થયો છે. માછીમારોને અત્યારસુધી 14,180 કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરાયું છે અને રાજ્યના 1,30,000 માછીમારોને વીમા સંરક્ષણ પૂરું પડાયું છે. તેમણે કહ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસોના ફલસ્વરૂપે પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયેલા ભારતીય માછીમારોમાંથી 482 માછીમારો વર્ષ 2023-24 માં પોતાના વતન પાછા ફર્યા છે. વધુમાં હું ભારત સરકારને પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયેલ 185 ભારતીય માછીમારો અને બોટને તુરંત છોડાવા માટે અનુરોધ કરું છું.
