અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 72 દિવસની સારવાર બાદ યુવાનને નવજીવન
Live TV
-
રાજસ્થાનના રાજસમંદના 22 વર્ષીય વિનોદ સોહનલાલ રેગરને ગંભીર ટિટેનસ (ધનુર)ની બીમારી સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
26 જૂનથી શરૂ થયેલી સારવાર બાદ 72 દિવસની સઘન સારવારથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં 5 સપ્ટેમ્બર, 2026ના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેમને ICUમાં ખસેડી ટ્રેકિયોસ્ટોમી કરી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કિડની અને લીવરને નુકસાન, બેડસોર તથા વેન્ટિલેટર-સંબંધિત ન્યુમોનિયા જેવી જટિલતાઓ પણ સર્જાઈ હતી. તેમણે આશરે 60 દિવસ ICU અને 12 દિવસ જનરલ વોર્ડમાં સારવાર લીધી હતી.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર, સર્જરી, ટાર્ગેટેડ એન્ટિબાયોટિક્સ સહિતની તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી. તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષી તથા મેડિસિન યુનિટના વડા ડૉ. દર્શના મકવાણાના માર્ગદર્શન હેઠળની તબીબી ટીમની સતત દેખરેખ અને સંકલિત સારવારથી દર્દીને નવજીવન મળ્યું હતું.તબીબોએ ઈજા થયા બાદ સમયસર ટિટેનસની રસી લેવા અંગે પણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
