ઈનોવેટીવ બનો તમારા આઈડિયાને સાકાર કરવામાં સરકાર મદદ કરશે : શિક્ષણમંત્રી
Live TV
-
જીટીયુના સ્થાપના દિને શિક્ષણ મંત્રીશ્રીનું વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કર્યુ.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ઈતિહાસમાં પહેલીવાર સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. યુનિવર્સિટીએ 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં પ્રવેશ કર્યો તે પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતા મુખ્ય અતિથિ તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતુ કે જે વિદ્યાર્થીઓમાં પ્રતિભા અને કંઈક નવતર કરી બતાવવાની તમન્ના હશે તેવા વિદ્યાર્થીઓના આઈડિયાને સાકાર કરવામાં સરકાર તમામ પ્રકારની મદદ કરશે. તેમણે વિદ્યાર્થીઓને ઈનોવેટીવ બનો એવો મંત્ર આપ્યો હતો.
ચુડાસમાએ જણાવ્યું હતું કે એક જમાનામાં જેમની પાસે નાણાં વધારે હોય તે ધનવાન કહેવતા, પણ હવે 21મી સદીમાં જેમની પાસે જ્ઞાન વધારે હોય તે શ્રીમંત કહેવાશે. નોલેજ વીથ ટેકનોલોજી જેમની પાસે હોય તે ધનવાન ગણાશે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આટલી હરણફાળ ભરી છે ત્યારે તેનો લાભ શહેરોની જેમજ ગામડાઓને પણ મળતો થયો છે. રૂરલ અને અર્બનનો સમન્વય કરીને રૂર્બન કન્સેપ્ટના માધ્યમથી વિકાસ સાધવાનું વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આવા સંજોગોમાં ઈજનેર બનીને બહાર આવનારા વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું છે કે તમે સમાજઉપયોગી કાર્યોમાં તમારા કૌશલ્યોનો લાભ આપશો તો તમને ભરપૂર આત્મસંતોષ મળશે. આ સ્ટાર્ટ અપનો જમાનો છે.
આ પ્રસંગે વિભાવરીબેન દવે અને કે. કે. નિરાલા તેમજ જીટીયુમાંથી પીએચડી કરી ચૂકેલા ઉદ્યોગપતિ ડૉ. જૈમીન વસા વગેરે ઉપસ્થિત હતા. જીટીયુના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલરો પ્રો.ડૉ.એમ.એન.પટેલ તથા પ્રો.ડૉ.રાજુલ ગજ્જર તેમજ માજી રજીસ્ટ્રાર ડૉ.જી.પી વડોદરીયા અને ડૉ .જે.સી.લીલાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ જીટીયુના પોતાના સમયગાળાના સંસ્મરણો તાજા કરીને જીટીયુની પ્રગતિ માટે કેટલાક સૂચનો પણ કર્યા હતા. માજી વાઈસ ચાન્સેલર ડૉ. અક્ષય અગ્રવાલનો કેનેડાથી વિડીયો સંદેશ પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવ્યો હતો. જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ એસ.ડી. પંચાલે કાર્યક્રમના પ્રારંભમાં સૌનું સ્વાગત કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત કવિ સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં જીટીયુ બ્રાન્ડ બની તેમાં બધાનો ખૂબ મોટો ફાળો છે. અગાઉ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જીપીએસસીમાં હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જીટીયુ વચ્ચે વહિવટીથી માંડીને તમામ બાબતોમાં ઘણો મોટો ફરક છે. મારા પહેલાના તમામ વાઈસ ચાન્સેલરો અને રજીસ્ટ્રારોએ પાયામાંથી જે કંઈ કામ કર્યું તેનાથી મજબૂત ફાઉન્ડેશન બન્યું તેને હું આગળ લઈ ગયો. મને લાગ્યું કે અમુક બાબતો ખુટે છે જેમ કે યુનિવર્સિટીનું રેગ્યુલેશન જ નહોતું, યુજીસી 12-બી સર્ટીફિકેટ નહોતું એટલે ગ્રાન્ટ મળતી નહોતી. તે દિશામાં પ્રયાસોને મેં વેગવાન બનાવ્યા. જરૂરી જમીન મળી, ટીચીંગ પોસ્ટ મળી. ગાંધીનગર કેમ્પસમાં એન્જીનિયરીંગમાં સાયબર સિક્યુરિટી અને ફાર્મસીમાં રેગ્યુલેટરી તથા મેનેજમેન્ટમાં એમબીએ ઈન ઈન્ટરનેશનલ બિઝનેસના અનુસ્તનાતક કોર્સ ધરાવતા ભવન શરૂ કરાવ્યા. આગામી વર્ષથી વધુ બે પીજી સ્કૂલ શરૂ કરવામાં આવશે. કાયમી રજીસ્ટ્રાર અને ટીચીંગ પોસ્ટ ભરતી માટેની પ્રક્રિયા ચાલુ છે. આગામી વર્ષથી જીટીયુ રેંકીંગમાં ભાગ લેશે અને તેમાં ઝળકશે એવો મને વિશ્વાસ છે. જીટીયુ આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ ટેકનોલોજીકલ યુનિવર્સિટી બની રહે એવો સંકલ્પ લઈએ
