કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ઉપક્રમે "માટી કલા મહોત્સવ" યોજાયો
Live TV
-
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ઉપક્રમે "માટી ક્લા મહોત્સવ" યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીના વરદ હસ્તે વિવિધ લાભાર્થીઓને જુદા - જુદા ઉપકરણો અને કીટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
અમિત શાહે આ પ્રસંગે વિવિધ લાભાર્થીઓને મળેલ સ્વ રોજગાર કીટ માટે અભિનંદન પાઠવતા કહ્યું હતું હતું કે, ખાદી અને માટી કળા એ બહુઆયામી વિચાર છે. આઝાદીના આંદોલન દરમ્યાન પૂ. મહાત્મા ગાંધીજીએ ખાદીના વિચારને સાંકળ્યો અને તેના માધ્યમથી ઈંગ્લેન્ડથી આવતા કાપડની માંગને ઓછી કરી અંગ્રેજોના અર્થતંત્ર પર માર કર્યો. ખાદીના વિચારને લીધે જ સ્વદેશી ની સાથે સ્વરાજની વાત ઘેર ઘેર પહોંચી.
અમિત શાહે કહ્યું હતુ હતું કે, આજે પણ ખાદીનો વિચાર એટલો જ પ્રસ્તુત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાદીના વિચારને પુનઃજીવિત કરી સામાન્ય લોકો સુધી પહોંચાડ્યો. આદરણીય મોદીજીએ આપેલ આ વિચાર આઝાદીના આંદોલન કરતા પણ વધુ વેગવંતો બન્યો.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં વિભિન્ન કુશળ કારીગરોને 300 ઇલે. પોર્ટર વ્હીલ, 40 એગ્રો બેઝ ટૂલ કીટ, 40 બહેનોને અગરબત્તીના મશીન અને 200થી વધુ પરંપરાગત ચરખાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. તેઓએ અગરબત્તી બનાવનાર બહેનોને અગરબત્તીના વેચાણ માટે ભટકવું ન પડે તે માટે વિશ્વાસ આપતા કહ્યું કે નજીકના સમયમાં ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ જ અગરબત્તીની ખરીદી અને વેચાણ વ્યવસ્થા ઉભી કરશે. તેઓએ જણાવ્યું હતું કે, તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર લોકસભામાં ગાંધીનગર રેલવે સ્ટેશન પર માટીના કુલ્લડ માટે ટાઈ અપ કરવામાં આવેલ છે જેના પરિણામે આજે 10 ગામોના કારીગરોના જીવનમાં આત્મ સન્માનનો ઉજાસ રેલાયો છે. આ પ્રકારે સમગ્ર દેશના રેલવે સ્ટેશન પર ટાઇ અપ માટે પણ પ્રયાસો કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, કર્ણાવતી મહાનગરના મેયર પ્રતિભા પટેલ, સાંસદ કિરીટ સોલંકી, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ, ખાદિ ગ્રામ ઉદ્યોગ બોર્ડના અધ્યક્ષ મનોજકુમાર સહિતના મહાનુભાવો, લાભાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
