દાહોદ : ધાનપુર તાલુકાના નવાનગર ગામે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
Live TV
-
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી ધાનપુર તાલુકાના નવાનગર ગામે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું કે, છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ આઝાદીના શતાબ્દી વર્ષ 2047માં ભારત દેશ વિકસિત બની વિશ્વ ફલક પર અંકિત થાય તે હેતુથી સમગ્ર દેશ તથા ગુજરાત રાજ્યમાં ગામે ગામ સુધી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ભ્રમણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોચાડવામાં આવી રહ્યો છે. જે નાગરિકો અને સરકાર વચ્ચે સેતુરૂપ બનશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સંકલ્પ યાત્રા આગામી 26મી જાન્યુઆરી સુધી ભારત દેશના નાનામાં નાના પંચાયત સ્તર સુધી આ યાત્રા પહોંચીને ગામમાં એકપણ લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહી જાય અને સત્વરે તેનો લાભ આપી શકાય તે પ્રકારની સુદ્રઢ વ્યવસ્થા અને આયોજન ગોઠવાય તે માટેની આ યાત્રા છે. આપણે પણ ભારતને વિકસિત બનાવવાના આ સંકલ્પમાં સહભાગી થઈ ભારતનો કિસાન સમૃદ્ધ બને, દરેક વ્યક્તિને સુદ્રઢ આરોગ્ય વ્યવસ્થા પ્રાપ્ત થાય, દરેક ગરીબ સુધી અનાજ પ્રાપ્ય બને, ઉદ્યોગના વિકાસ સાથે દેશ વિશ્વની હરિફાઈ કરી શકે તે પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થાય તેવા વિકસિત ભારતને સાકાર કરવા માટે આ સંકલ્પ યાત્રાનું દેશભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
