કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું
Live TV
-
સરકાર અને સમાજનું સામંજસ્ય જ આદર્શ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે એવી શાસન પદ્ધતિ ઊભી કરી છે કે, નાગરિકોએ માંગણી માટે સરકાર પાસે આવવું ન પડે, સરકાર જ સામેથી યોજનાઓ લઈને નાગરિકો સુધી પહોંચે. સરકાર અને સમાજનું સામંજસ્ય જ આદર્શ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર અને ગાંધીનગર સંસદીય મતક્ષેત્રને રૂ. ૧૯૩.૧ર કરોડના ખાતમૂહર્ત તથા રૂ. ૮પ.૮૯ કરોડના લોકાર્પણ મળી એક જ દિવસમાં ર૭૯ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી તેમજ ગુડા દ્વારા રૂ. ૧૩.૧૮ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૩૪ આવાસોની ફાળવણી ડ્રો દ્વારા કરી હતી. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા એલઆઈજી અને એમઆઈજી યોજનાઓના ૧૩૪ આવાસોના ડ્રો મા ઘરનું ઘર મેળવનારા નાગરિકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગર મહાનગર પાલિકામાં નવા સમાવાયેલા સુઘડ, ભાટ, કોટેશ્વર, અમિયાપૂર, ખોરજ અને ઝૂંડાલમાં ડ્રેનેજ વ્યવસ્થા, વોટર સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સ્યુએઝ નેટવર્કના કુલ રૂ. ૧૯૩.૧ર કરોડના કામોના ખાતમૂહર્ત કરવામા આવ્યા છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી, અમદાવાદ પૂર્વના સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ પટેલ, પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઇ પટેલ, કલેકટર કુલદીપ આર્ય સહિત ગાંધીનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
