શેલા ગામના તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ખાતમુહૂર્ત
Live TV
-
એક સમયે રાજ્યમાં પાણીનું સંકટ હતું, આજે પાણીને લીધે વિકાસની અપાર સંભાવનાઓ છે - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
અમદાવાદ નજીક શેલા ગામના તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમિત શાહે જણાવ્યું છે કે એક સમય હતો કે ગુજરાત માટે પાણી સંકટ હતું, પરંતુ દેશના પ્રધાનમંત્રી તથા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનને પગલે ગુજરાતમાંથી પાણીનું સંકટ ટળ્યું છે. અને આજે પાણીને લીધે રાજ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે અપાર સંભાવનાઓ રહેલી છે એમ તેમણે ઉમેર્યું હતું. અમદાવાદના નવા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવતા શેલા ગામના તળાવના નવીનીકરણ અને બ્યુટિફિકેશનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. UPL કંપનીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે શેલા ગામ નજીક 5.45 હેક્ટર વિસ્તારને આવરી લેનાર તળાવના નવીનીકરણ તથા બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ કંપનીના ચેરમેન રજ્જુભાઈ શ્રોફના તળાવ નિર્માણના અભિગમને બિરદાવી મંત્રીએ કહ્યું હતું કે શ્રોફે તેમની કંપનીની CSRના ભાગરૂપે શેલામાં તળાવના નવીનીકરણ અને બ્યુટિફિકેશનની આવકારદાયક પહેલ કરી છે, તેના પગલે આ વિસ્તારની આસપાસના જળસ્રોત ઊંચા આવશે એ નિશ્ચિત છે. શેલા ગામમાં બનનારું આ તળાવ ‘અમૃત તળાવ’ સિવાયનું વધારાનું તળાવ હશે, અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવા કુલ છ તળાવ આગામી સમયમાં બનનાર છે. આવા તળાવોનું નિર્માણ કરીને આગામી વર્ષો સુધી સાચવીશું તો સૈકાઓ સુધી આ ક્ષેત્રને ફાયદો થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગોસ્વામી, નેહરુ યુવા કેન્દ્રના વાઇસ ચેરમેન પ્રદીપસિંહ વાઘેલા, તેમજ શેલા ગામના અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ આસપાસના વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
