કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશની અધ્યક્ષતામાં વડખંભા અને પાનસમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
Live TV
-
વલસાડ જિલ્લામાં કપરાડાના વડાખંભા અને પાનસ ખાતે ભારત સરકારના રેલવે અને ટેક્સટાઇલના રાજ્યમંત્રી દર્શના જરદોશની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમો યોજાયા હતા. સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરી વિકસિત ભારત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણ કક્ષાએ અને ટ્રાઇબલ તાલુકામાં વધારાની પાંચ યોજનાઓના કુલ 19 સ્ટોલ દ્વારા નાગરિકોને આ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. રાજ્યમંત્રી દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લઇને માહિતી મેળવવામાં આવી હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આઝાદીના 100 વર્ષ પછી 2047માં ભારત કેવું હશે તેનું ધ્યેય રાખી ભારતને વિશ્વગુરુ બનાવવાનો સૌ કોઈએ સંકલ્પ લેવાનો છે. પ્રધાનમંત્રીએ નાની નાની દરેક યોજનાઓનું ધ્યાન રાખ્યું છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેટલા લાંબા સમય સુધી કોઇ યોજના ચાલતી નથી. પરંતુ ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાકાળના કપરા સમયથી આ યોજના ચાલે છે અને હજી પણ આવતા પાંચ વર્ષ સુધી ચાલતી રહેશે.
કેન્દ્રીય રાજ્યમંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવી, ઉજ્જવલા યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને કીટ તેમજ સગર્ભા મહિલાઓને પોષણ કીટ આપવામાં આવી હતી. સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
