કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા CM રૂપાણી પહોંચ્યા સુરતની મુલાકાતે
Live TV
-
સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ ને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની આરોગ્ય સેવા સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજ્જતાનો ચિતાર મેળવવા આજે સુરત પહોંચ્યા છે.
તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય સચિવ અનિલ મુકિમ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, કે. કૈલાસનાથન સહિત ના ,વરિષ્ઠ સચિવો પણ તેમની સાથે જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જ્યંતિ રવિ છેલ્લા પાંચ દિવસથી સુરતમાં છે ત્યારે તેમણે કોરોનાને કાબુમાં લેવા માટે મહત્વના નિર્ણયો લીધા છે, ત્યારે મુખ્યમંત્રીની મુલાકાત બાદ સુરતમાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે વધુ આકરા નિર્ણયો લઈ શકાય તેવી શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ દિવસે દિવસે ચિંતાજનક બની રહી છે ત્યારે ગઈકાલે અત્યાર સુધીના સૌથી વધારે 687 પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેમાં અમદાવાદ અને સુરતમાં એક સરખા 204 કેસ નોંધાયા હતા. તો ભાવનગર માં 21 નવા કેસ સામે આવ્યા છે.
જ્યારે ગાંધીનગરમાં પણ 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ વડોદરામાં પણ છેલ્લાં ત્રણ દિવસથી કોરોના પોઝીટીવના કેસો વધી રહ્યા છે. જ્યારે ગઈકાલે રાજ્યમાં કુલ 18 દર્દીઓના મરણ થયા હતા. જેમાં અમદાવાદમાં 10, સુરતમાં 5 દર્દીઓના મરણ થયા હતા. તો રાજ્યમાં કુલ મરણઆંક 1 હજાર 906 પર પહોંચ્યો છે.
