કોરોના સામે લડત ચલાવતા ગુજરાતે વધુ બે ઉપકરણો-સાધનોના નિર્માણ-ઉત્પાદનથી દેશને નવો રાહ ચીંધ્યો
Live TV
-
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કોરોના સામેની લડત માટે ગુજરાતની સંપૂર્ણ સજ્જતા દર્શાવી
વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ 19 ની સારવાર માટે આવશ્યક વેન્ટીલેટરના રાજકોટની જ્યોતિ CNC દ્વારા ઉત્પાદનની સફળતાને પગલે ગુજરાતે વધુ બે ઉપકરણો-સાધનોના નિર્માણ-ઉત્પાદનથી દેશને નવો રાહ ચીંધ્યો છે. કોરોનાના રોગગ્રસ્તોની સારવાર-સુશ્રષામાં રોકાયેલા તબીબો, મેડીકલ સ્ટાફને પર્સનલ પ્રોડકશન ઇકવીપમેન્ટ કિટનો અવશ્ય ઉપયોગ કરવો પડે છે. આવા ઇકવીપમેન્ટ કિટની વિશ્વભરમાં ખૂબ માંગ છે ત્યારે ગુજરાતમાં તેની પૂરતી ઉપલબ્ધિ થાય એટલું જ નહિ, ગુજરાતમાં ઉત્પાદિત આ કિટ કોરોના રોગગ્રસ્તોની સારવારમાં જોડાયેલા દેશના અન્ય તબીબો-મેડીકલ સ્ટાફને પણ મળી રહે તે માટે અરવિંદ મિલ્સ લીમીટેડ સાંતેજ અને સ્યોર સેફટી વડોદરા દ્વારા તેનું ઉત્પાદન થઇ રહ્યું છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીના ઈલાજમાં સૌથી મહત્ત્વનું ગણાતું સાધન વેન્ટિલેટર છે. ગુજરાતની જ એક કંપની જ્યોતિ સીએનસી રોજના 100 વેન્ટિલેટરનું ઉત્પાદન કરી રહ્યું છે અને 10 દિવસમાં જ ગુજરાતને 1000 વેન્ટિલેટર પૂરા પાડવાની છે. બીજીતરફ N95 માસ્ક કોરોના વાઈરસની રોકથામમાં સૌથી ઉપયોગી છે. ગુજરાતમાં દરરોજે 25 હજાર N95 માસ્ક બને છે, રાજ્યની બે કંપની પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) કીટનું પણ નિર્માણ કરી રહી છે. આમ કોરોનાની રોકથામમાં ગુજરાત સાધનોના નિર્માણની દૃષ્ટિએ સંપૂર્ણ સ્વાવલંબી છે.મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને કાર્યરત કરવામાં આવી છે. જ્યારે બાકીના 29 જિલ્લામાં 100 બેડની કોવિડ હોસ્પિટલ ચારથી પાચ દિવસમાં તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.
