ખેડાના વડતાલ ખાતે ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
Live TV
-
ખેડા જિલ્લાના યાત્રા ધામ શ્રી સ્વામિનારાયણ વડતાલ ખાતે વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત તરીકે ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ્, એશિયા બુક ઓફ રેકોર્ડસ્ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ્ એમ આ ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સચિત્ર શિક્ષાપત્રીમાં 212 શ્લોક, કુલ 224 હસ્તલિખિત પેજ છે. આ હસ્તપ્રતનું લેખન તથા ચિત્રકામ કુંડળધામના 150 જેટલાં હરિભક્તોએ માત્ર 24 કલાકમાં પૂર્ણ કર્યું હતું અને બાઈન્ડીંગ માત્ર 10 કલાકમાં કરવામાં આવ્યું હતું. આ શિક્ષાપત્રીના તમામ 224 પાનાઓ શરૂઆતથી અંત સુધી હસ્તલિખિત છે. તમામ ચિત્રો પણ હાથથી જ તૈયાર કરાયા છે. ક્યાંય પ્રિન્ટીંગ કરાયું નથી.
આજથી 196 વર્ષ પહેલા વડતાલધામે બિરાજી સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી લખી હતી. તેથી પરમ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામની પ્રેરણાથી તૈયાર કરાયેલી શિક્ષાપત્રી પૂજ્ય સ્વામીજીએ શિક્ષાપત્રી પ્રાગટ્ય ભૂમિ એવા વડતાલધામને અર્પણ કરી છે. જેને હાલ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મોટા કદમાં તૈયાર કરવામાં આવી છે તે આઠ ફૂટ પહોળી, સાડા પાંચ ફૂટ ઉંચી તથા 120 કિલો વજનની છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડસની વેબસાઈટમાં એવી ખાસ નોંધ પણ કરાઈ છે. આ પ્રસંગે પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીને વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ તથા સંતોની નિશ્રામાં વરિષ્ઠ સંતોના હસ્તે સર્ટિફિકેટ તથા મેડલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
