ખેડા જિલ્લા ભાજપ દ્વારા 'આત્મનિર્ભર ભારત' સંકલ્પ અભિયાનનો પ્રારંભ
Live TV
-
ખેડા જિલ્લા ભાજપ દ્વારા 'આત્મનિર્ભર ભારત' સંકલ્પ અભિયાનનો પ્રારંભ
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સમગ્ર દેશમાં વ્યાપક સ્તરે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ, ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાનનો પ્રારંભ ૨૫મી સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો છે. આ અભિયાન આગામી ૨૫મી ડિસેમ્બર, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુધી ચાલશે, જેમાં વિવિધ કાર્યક્રમો દ્વારા જન જાગૃતિ લાવવામાં આવશે.
કાર્યકર વર્કશોપનું આયોજન
આ અભિયાનના ભાગરૂપે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ ખાતે એક કાર્યકર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, આત્મનિર્ભર ભારતના પ્રદેશ કો-ઓર્ડીનેટર શબ્દ શરણભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી જનવીબેન વ્યાસ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને અન્ય ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લીધો હતો.
ત્રણ માસ સુધી કાર્યક્રમો યોજાશે: ગોરધનભાઈ ઝડફિયા
વર્કશોપ બાદ યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઘેર ઘેર ગુંજતો કરવા આગામી ત્રણ માસ સુધી કાર્યક્રમો યોજાશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "આ કાર્યક્રમ માત્ર ભાજપનો જ નહીં, પરંતુ સમગ્ર ભારતનો છે, જેમાં સહુ ભારતીયો જોડાશે." આ માટે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સુધી પણ સ્વદેશીની વાત લઈ જવામાં આવશે.
નિબંધ સ્પર્ધા અને શેરી નાટકો દ્વારા જાગૃતિ
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્કશોપ બાદ હવે મંડળ સ્તર સુધી પણ સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો સંદેશો પહોંચાડવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં નિબંધ સ્પર્ધાઓ, શેરી નાટકો વગેરે દ્વારા સ્વદેશીની વાત જન-જન સુધી લઈ જવામાં આવશે.
આ કાર્યક્રમમાં સ્વદેશી અભિયાનના જિલ્લા સંયોજક ગોપાલભાઈ શાહ, પ્રદેશ ભાજપ મંત્રી જનવીબેન વ્યાસ, ધારાસભ્યો કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા તેમજ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીઓ અપૂર્વભાઈ પટેલ, અમિતસિંહ ડાભી, રાજેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
