વિકાસ સપ્તાહ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનું ભવ્ય આયોજન
Live TV
-
રાજ્યવ્યાપી 'રવિ કૃષિ મહોત્સવ-2025'ના ભાગરૂપે અમદાવાદ જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ તા. 14 ઓક્ટોબરે વિરમગામ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ મહોત્સવમાં ખેડૂતોને આધુનિક તકનીકી માર્ગદર્શન, યોજનાકીય સહાય વિતરણ અને કૃષિ પ્રદર્શનનો લાભ મળશે.
'વિકાસ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આગામી તા. 14 અને 15 ઓક્ટોબર, 2025ના રોજ રાજ્યવ્યાપી "રવિ કૃષિ મહોત્સવ-2025"નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ ખેડૂતોને રવિ સિઝનના પાકો અંગે આધુનિક તકનીકી માર્ગદર્શન પૂરું પાડવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાશે.
અમદાવાદ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ તારીખ 14 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 09:00 કલાકે, ગુજરાત રાજ્ય બીજ નિગમ ગોડાઉન, વિરમગામ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આ બે દિવસીય મહોત્સવમાં ખેડૂતો માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:
- પાક પરિસંવાદ: કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સસ્ટેઇનેબલ ફાર્મિંગ, રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક કૃષિ જેવા વિષયો પર માર્ગદર્શન.
- કૃષિ પ્રદર્શન: નવીનતમ ટેકનોલોજી આધારિત કૃષિ સાધનો અને પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન.
- સન્માન અને સહાય વિતરણ: પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોનું સન્માન તથા 4,00,000થી વધુ ખેડૂતોને યોજનાકીય સહાયનું વિતરણ.
- પશુ આરોગ્ય મેળા: તાલુકા કક્ષાએ પશુઓ માટે આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પ.
- ફાર્મ મુલાકાત: પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત દ્વારા પ્રત્યક્ષ માર્ગદર્શન.
અમદાવાદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક પદાધિકારીઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કરશે. સાણંદમાં ધારાસભ્ય કનુભાઈ પટેલ, માંડલ તાલુકામાં જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા તથા ધોળકા તાલુકામાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેવી જ રીતે, ધોલેરામાં તાલુકા પંચાયત પ્રમુખ મુક્તા વસાણી, ધંધુકામાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી, દેત્રોજમાં તાલુકા પંચાયત પ્રમુખ મંજુબા સોલંકી અને દસક્રોઈમાં ધારાસભ્ય બાબુભાઈ પટેલ હાજરી આપશે. આ ઉપરાંત, બાવળા તાલુકાના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સિધ્ધરાજસિંહ સોઢા તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કાંતિભાઈ ઠાકોર ઉપસ્થિત રહેશે.
આ રાજ્યવ્યાપી મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ પંચમહાલ-ગોધરાના છબનપુર ગામથી કરાવશે. રાજ્યભરમાં ૨૬૧ સ્થળોએ યોજાનાર આ કાર્યક્રમોમાં લાખો ખેડૂતો ભાગ લેશે અને કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને અંદાજે રૂ. 500 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવશે.
જિલ્લા કૃષિ કચેરી દ્વારા અમદાવાદ જિલ્લાના તમામ ખેડૂત ભાઈ-બહેનોને આ કૃષિ મહોત્સવમાં ભાગ લેવા અને આધુનિક ખેતી પદ્ધતિઓનું જ્ઞાન મેળવી કૃષિ વિકાસમાં સહભાગી થવા અપીલ કરાઇ છે.
