ગાંધીનગરથી થયો "બાળ લકવા નાબૂદી અભિયાન-2022" નો રાજ્યવ્યાપી પ્રારંભ
Live TV
-
રાજ્યમાં 5 વર્ષ સુધીના અંદાજિત 75 લાખથી વધુ બાળકોને આ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે
ગુજરાતનું પ્રત્યેક બાળક સ્વસ્થ અને નિરોગીમય બની રહે એવા નિર્ધાર સાથે આજ રોજ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરથી રાજયવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો શુભારંભ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં રાજ્યમાં પાંચ વર્ષ સુધીના અંદાજે 75 લાખથી વધુ બાળકોને આવરી લેવામાં આવશે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ રાજયવ્યાપી અભિયાન માટે આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરીને સઘન આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં કુલ 38,395 બૂથનું આયોજન કરીને 7465 સુપરવિઝન ટીમો દ્વારા અંદાજે 1,58,861 જેટલા આરોગ્ય કર્મીઓ સેવાઓ આપશે. રાજ્યના તમામ વિસ્તારો અને બાળકોને રક્ષિત કરવા માટે વાડી વિસ્તાર, અંતરીયાળ વિસ્તાર, દરીયાઈ વિસ્તાર વગેરે માટે 2934 મોબાઈલ ટીમો બનાવવામાં આવી છે. આ સાથે જ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ વગેરે માટે 2449 ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.
જિલ્લા કક્ષાએ કલેકટરની આગેવાની નીચે જિલ્લા ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે, અને કોર્પોરેશન કક્ષાએ મ્યુનિસિપલ કમિશ્નરની આગેવાની નીચે કોર્પોરેશન ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. દરેક જિલ્લામાં વર્ગ-૧ ના અધિકારીઓને સંકલન અધિકારી તરીકે નિયુક્ત કરી તાલુકાઓની જવાબદારી સોં૫વામાં આવી છે.
બાળકની સલામતી માટે અને દસ ગંભીર રોગથી રક્ષણ આ૫વા માટે રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જે અન્વયે દરેક વિસ્તારોમાં ચોકકસ દિવસ એટલે કે બુધવારે અને આરોગ્ય કેન્દ્રમાં સોમવારે મમતા દિવસ દ્રારા સગર્ભા માતા અને બાળકોને વિનામૂલ્યે રસીઓ આ૫વામાં આવે છે.
નવા જન્મેલા બાળકને, બાળકની સામાન્ય બિમારીમાં, તેમજ અગાઉ ગમે તેટલી વખત રસી આપેલ હોય તો ૫ણ આ પોલિયો રાઉન્ડમાં રસી અવશ્ય અપાવવી જોઈએ તેવો આગ્રહ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
એપ્રિલ -2007 પછી આજ દિન સુધીમાં ગુજરાતમાં પોલિયોનો એકપણ કેસ નોંધાયો નથી. આજ રીતે સાતત્યપૂર્ણ રીતે તમામ કર્મચારી, અધિકારી સામાજિક સંસ્થાઓ/ કાર્યકર કામગીરી કરે તો ગુજરાત પોલિયો નાબૂદી તરફની જરૂર જાળવી રાખશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ ઉપરાંત ગુજરાત સરકારની સરાહનીય કામગીરી બદલ યુનાઇટેડ નેશન સંસ્થાઓ જેવી કે, વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફના પ્રતિનિધિઓ દ્રારા વર્ષ 2015માં ગુજરાત સરકારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
